ભાવનગર ભાજપમાં આંતરિક ડખ્ખો થયો છે અને ચૂંટણી અગાઉ ઉભા થયેલા આંતરિક મનદુઃખ ને લઈ ભાવનગર ભાજપનું સંગઠન નબળું પડ્યું છે તેવે સમયે આગામી તા. 3જીએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ભાવનગરની મુલાકાત સૂચક મનાય છે.
ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળીયાએ કારડીયા રાજપૂત સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો મામલો શાંત પડ્યો નથી ત્યાં ફરી ભાજપની પૂર્વ મહિલા પ્રમુખે મુકેશ લંગાળીયા સામે પોતાના ઉપર ત્રાસના આરોપ મુકી આત્મહત્યાની ચિમકી આપતા મામલો ગરમાયો છે. બીજી તરફ કારડીયા રાજપૂત સમાજની મુકેશભાઈએ સમાજની માફી માગી હોવા છતાં કારડીયા રાજપૂત સમાજ હવે મુકેશ લંગાળીયાના રાજીનામુ માંગી રહયા હોય ભાજપનો આંતરિક કલેહ સપાટી ઉપર આવ્યો છે.
જિલ્લા ભા.જ.પ.પ્રમુખ મુકેશભાઇ લંગાળીયા દ્વારા અગાઉ ‘કારડીયા રાજપૂત સમાજ મોટો કે ભાજપ મોટો’!! અંગે ટિપ્પણી કરતા રાજપૂત સમાજમાં ભારે રોષ ફેલાયો છે. જેના ભાગરૂપે વલભીપુર ખાતે મળેલી સમાજની મળેલી મીટીંગમાં કારડીયા રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા હતાં. જેમાં મુકેશ લંગાળીયાનું ભાજપ પ્રમુખના રાજીનામા સિવાય વિશેષ કાંઈ ખપતું નહીં હોવાની માંગ સાથે સંમેલન બાદ રેલી કાઢવામાં આવી હતી અને મુકેશભાઇ લંગાળીયાના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું. જો તેઓ રાજીનામુ નહીં આપે તો સી.આર.પાટીલ સમક્ષ રજુઆત કરીને આ બાબતે વિચાર કરે અન્યથા ભા.જ.પ. પક્ષથી ચુંટણીમાં કારડીયા રાજપુત સમાજ વિમુખ રહેશે તેવી ચિમકી ઉચ્ચારતા ભાવનગર માં ભાજપમાં આંતરિક ભડકો થયો છે.