પાલિતાણામાં યોજાયેલા શાદી પ્રસંગમાં ચિકન, મટન, બિરયાની સાથે સફરજનનો હલવો અને છાશ આરોગતાં 150થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગ થતાં ભારે દોડધામ મચી ગઈ હતી.
અસરગ્રસ્ત લોકોને અહીંની માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પણ બેડ ખૂટી ગયા હતા.
પાલિતાણામાં રહેતા મહેતર ના ઘરે શાદી પ્રસંગ હોય પાલિતાણાના તળાવ વિસ્તાર ખાતે આવેલા જમાત ખાનામાં દાવતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 હજારથી વધુ લોકોએ સફરજનનો હલવો, છાશ, ચિકન બિરયાની મટન સહિતનું નોનવેજ ભોજન આરોગ્યુ હતું, જેમાં 150થી વધુ લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઇ હતી જેમાં સૌથી વધુ બાળકો ફૂડ પોઇજિંગનો ભોગ બન્યા હતા.
દાવતમાં ભોજન આરોગ્યા બાદ ઉલટી અને ઝાડા થઈ જતા ભારે અફરા તફરી મચી હતી અને અસરગ્રસ્તોને પાલિતાણા, ભાવનગર અને પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.