એરફોર્સમાં ફ્લાયીંગ ઓફિસર ક્લાસ 1 રેન્ક ધરાવતા ભાવનગરના 25 વર્ષિય ગરાસિયા યુવાને ગ્વાલિયર ખાતે ટ્રેનિંગ દરમિયાન હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે.
ઈન્ડિયન એરફોર્સમાંની પરીક્ષા પાસ કરી એક વર્ષ પહેલા ફ્લાઈંગ ઓફિસર બનેલા 25 વર્ષીય જયદત્તસિંહ પ્રદ્યુમ્નસિંહ સરવૈયા એરફોર્સમાં ટ્રેનિંગમાં હતા અને બેંગ્લોરમાં ટ્રેનિંગ પુરી થઈ ગયા બાદ હાલ ગ્વાલિયર ખાતે તેઓ ટ્રેનિંગમાં હતા તે દરમિયાન બુધવારે વહેલી સવારે ગ્વાલિયર ખાતે હોસ્ટેલના રૂમમાં તેઓએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ તેમના પરિવારને થતાં તેઓ ગ્વાલિયર પહોંચ્યા હતા. એરફોર્સની સૌથી અઘરી કહી શકાય તેવી પરીક્ષા પાસ કરી તેઓ એરફોર્સમાં જોડાયા હતા અને પહેલા બેંગ્લોર ટ્રેનિંગ પુરી કરી ગત જાન્યુઆરી માસમાં ભાવનગર પોતાના ઘરે આવ્યા હતા.
જે બાદ તેમની ટ્રેનિંગ હાલ ગ્વાલિયરમાં ચાલતી હતી પિતા પ્રદ્યુમ્નસિંહ ખેતી અને રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે,જ્યારે નાના ભાઈ પરંજય અમદાવાદ મેડિકલનો અભ્યાસ કરે છે.
ગતતા.14મી તારીખે પોતાના પિતા પ્રદ્યુમ્નસિંહનો જન્મદિવસ હોય તેમને જન્મ દિવસની શુભેચ્છા આપ્યા બાદ ગળાફાંસો ખાધો હતો.સ્થાનિક પોલીસને તેઓની ડાયરીમાં હેપી બર્થ-ડે, પપ્પા… તેવું લખેલું મળ્યું હતું. મૃતકના કાકા કૃષ્ણદેવસિંહે જણાવ્યું હતું કે, નોકરીના પ્રેશરના લીધે તેણે ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું હોવાની શંકા છે. મૃતકના અંતિમ સંસ્કાર ભાવનગર ખાતે થનાર હોય મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.