રાજ્યમાં ભારે વરસાદ પડતાં અનેક જગ્યાએ નદી-નાળા છલકાઈ ગયા છે ત્યારે આવા કોઝવે ઉપરથી પસાર નહિ થવા અપીલ કરાઈ રહી છે તેવે સમયે ભાવનગરના તળાજા તાલુકાના જૂની કામરોલ ગામ પાસે કોઝવે પરથી એક વેગનઆર કાર પસાર કરવા જતાં તે પાણીના ભારે પ્રવાહમાં ખેંચાઈને નદીમાં ખાબકતા એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોનો બચાવ થયો હતો. મૃતકો તળાજાના પાવઠી ગામના હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારના લોકો વેગનઆર કાર લઈને જૂની કામરોલ ગામે દાદાના દર્શન કરવા માટે ગયા હતા. ત્યાં દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો.
કારમાં દંપતી, તેના બે સંતાનો અને માતા સવાર હતા
જેમાં કાર ચલાવી રહેલો યુવક અને તેનો પુત્ર બહાર નીકળી જતા બચાવ થયો હતો. જ્યારે કારમાં સવાર યુવકના પત્ની, માતા અને પુત્રી બહાર ન નીકળી શકતા કાર સાથે પાણીમાં ડૂબી ગયા જતા ભારે ગમગીની ફેલાઈ ગઈ છે.
ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને ગામલોકોની મદદથી નદીમાં ડૂબી ગયેલા ત્રણેય લોકોને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા જોકે તેઓના કરૂણ મોત થયા હતા,મૃતકોમાં દયાબેન ભદ્રેશભાઈ જીજાળા,
મુક્તાબેન વેલાભાઈ જીજાળા અને
અરમીબેન ભદ્રેશભાઈ જીજાળાનો સમાવેશ થાય છે.
પરિવારજનોને આ કરૂણ ઘટના અંગેની જાણ થતા તેઓ હોસ્પિટલ પર દોડી આવ્યા હતા.
સ્થાનિક દ્વારા દોરડાની મદદથી કારને પણ બહાર કાઢવામાં આવી હતી.
આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.