ભાવનગર જિલ્લાના સિહોરના ઘાંઘળી જી.આઈ.ડી.સી.નંબર.4માં આવેલી અરિહંત ફર્નેસ રોલીંગ મીલમાં આજે રાત્રીના સમયે બોઇલર માં બ્લાસ્ટ થતા ભારે દોડધામ મચી ગઈ હતી.
સિહોરથી ઘાંઘળી રોડ પર આવેલ અરીહંત રોલીંગ મીલ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા 12 જેટલા મજુરોને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજા પામેલ કામદારોમાં સુશીલકુમાર શ્રીરામપાલ (ઉં.વ.25, રહે.ઘાંઘળી), રાજેશકુમાર નેતાભાઈ સીંધી, રામશુકલ બિન્દા પ્રસાદપાલ (ઉં.વ.23) અને અન્ય પાંચને ભાવનગર હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
સિહોર હોસ્પિટલમાં ચારને દાખલ કરાયા છે.
જેમાં અમરકુમાર જગદીશરામ (ઉં.વ.30), ઓમપ્રકાશપાલ (ઉં.વ.24), બુદ્ધરાજપાલ (ઉં.વ.28), રમેશ યાદવ (ઉં.વ.28) (તમામ રહે.ઘાંઘળી રોડ-સિહોર)નો સમાવેશ થાય છે.
ઘટના ની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો અને ભાવનગર, વલભીપુર, સિહોર અને નારીની 108ની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું.
બહારથી આવેલા ભંગારને ભઠ્ઠીમાં નાખતા જ અચાનક બ્લાસ્ટ થયો હોવાનું કામદારો નું કહેવું હતું.