(ઝાલા દિગ્વિજય સિંહ,વડોદરા દ્વારા)
ભાવનગર નજીક તળાજા મહુવા હાઈવે પર પસ્વી ગામ નજીક એસ.ટી બસ અને સ્વીફ્ટ કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં મહુવામાં રહેતા દંપતીના સ્થળ પર જ કરૂણ મોત થયા હતા. જ્યારે કારમાં સવાર તેમના બાળકોને ગંભીર ઈજાગ્રસ્ત હાલત માં હોસ્પિટલમાં ખસેડાયા હતા.
વિગતો મુજબ મહુવામાં મોબાઈલ ના ધંધા સાથે સંકળાયેલાં બિરાજસિંહ હરિચંદ્રસિંહ જાડેજા (ઉ.વ.39) તેમના પત્ની જાગૃતિબા (ઉ.વ.35) તથા તેમના બે બાળકો કાવ્યરાજસિંહ (ઉ.વ.11) તથા કીર્તિબા (ઉં.વ.9) સાથે બપોરના સુમારે ભાવનગર નજીકના બાડી પડવા સ્થિત સાસરેથી પોતાની સ્વિફટ ડિઝાયર કાર નંબર જીજે.06 જેએમ 8182 મહુવા જઈ રહ્યા હતા તેવે સમયે બુધવારે બપોરના સુમારે તળાજા-મહુવા હાઈવે પ૨ આવેલા પસ્વી ગામના વળાંક નજીક મહુવા- ભાવનગર રૂટની એસટી બસ નંબર જીજે 18 ઝેડ 6524 સાથે સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માત ને લઈ પસ્વી ગામ ના યુવાનો દોડી આવ્યા હતા.
બસ સાથે ધડાકાભેર અથડાયેલી સ્વિફ્ટ કારની રીતસર કચ્ચરઘાણ નિકળી ગયો હતો સામે બસ ના કાચ પણ તૂટી ગયા હતા. અકસ્માત સમયે કાર માં લાગેલ તમામ એરબેગ્સ ખુલી ગઈ હતી પણ સવાર પતિ-પત્ની ના કરૂણ મોત થતા ભારે ગમગીની પ્રસરી ગઈ હતી. ગંભીર ઇજાગ્રસ્ત બન્ને બાળકોને સારવાર અર્થે ભાવનગર ખસેડાયા હતા.
જ્યારે એસ.ટી.બસમાં મુસાફરી કરતા બાલાભાઈ બાંભણીયા ઉ.વ.60 ને સામાન્ય ઈજાઓ થતા તેને તળાજાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવના સ્થળે પસ્વી ગામના ગ્રામજનો સહિત લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને હોસ્પિટલ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ દોડી આવ્યા હતા. તથા બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી આ બનાવ ને લઈ ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.