ભાવનગર શહેરના ઘોઘારોડ રાજારામના અવેડા નજીક આવેલ મનપાના 6 પ્લોટમાં ઉભા થઈ ગયેલા 144 જેટલા ગેરકાયદેસર બાંધકામોને હટાવવા માટે કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવતા આ બાંધકામ નહિ હઠાવવા આજે કલેકટર કચેરી અને કોર્પોરેશન ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા અને આ દરમિયાન એક વૃદ્ધને તેનું મકાન પડી જવાની ચિંતામાં મૃત્યુ નીપજ્યુ હોવાની ઘટના સામે આવી છે.
ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી અગાઉ જ કલેકટર અને કોર્પોરેશન કચેરી ખાતે મોટી સંખ્યામાં અહીં દબાણો કરનારા લોકો ઉમટયા હતા અને મેયરની કારનો ઘેરાવ કર્યો હતો.
કોર્પોરેશનના પ્લોટ પર ગેરકાયદેસર રીતે બની ગયેલા મફતનગરના લોકોના પ્રતિનિધિ મંડળ દ્વારા કલેકટર અને કમિશનરને રજૂઆત કરી હતી.
જોકે, કમિશનર દ્વારા ગેરકાયદેસર બાંધકામ હોવાને કારણે તેને ખાલી કરી દેવા અન્યથા તેને કોર્પોરેશન દ્વારા પાડી દેવા માટે મક્કમતા દેખાડતા ભારે હોબાળો શરૂ થયો હતો.
તંત્ર દ્વારા પણ ગેરકાયદેસર બાંધકામો પાડી દેવા માટે મક્કમ રહેતા આ મફતનગરમાં રહેતા 70 વર્ષીય યુસુફભાઈ અહેમદભાઈ ડેરૈયાનું તેમનું રહેણાંક પડી જવાની ચિંતામાં મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમના પત્ની શરીફાબેન ડેરૈયા તેમજ અફસાનાબેન હુસેનભાઇ સોલંકી અને સમીરભાઈની હાલત બગડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
આમ,આ મામલો ભાવનગરમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.