ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર હવે ખતમ થઈ ગઈ છે અને ગતરોજ શૂન્ય એટલે કે કોરોના નો એકપણ દર્દી નોંધાયો નથી.
વીતેલા દિવસો ની વાત કરવામાં આવે તો તા.મેની બીજી તારીખે ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં 658 પોઝિટિવ કેસ નોંધાતા ભારે ચકચાર મચી ગઈ હતી પણ હવે બરાબર 53 દિવસ ના અંતરાલ બાદ આજે સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ નોંધાયો નથી.
ભાવનગર શહેરમાં આજે એક પણ નવો કેસ નોંધાયો ન હતો. જ્યારે 6 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેમાં ચાર પુરૂષ અને બે મહિલાનો સમાવેશ થાય છે. હાલના સમયે શહેરમાં 23 દર્દીઓ કોરોનાની સારવારમાં છે. શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 13,986 પોઝિટિવ કેસ મળ્યા અને તેની સામે કુલ 13,803 દર્દીઓ કોરોનામુક્ત થતા શહેર કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.69 ટકા થઇ ગયો છે.
ભાવનગર ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ આજે એક પણ નવો કેસ નોંધાયો નથી જ્યારે એક પુરૂષ દર્દી કોરોનામુક્ત થયા છે. આજ સુધીમાં તાલુકા-ગ્રામ્ય કક્ષાએ કુલ 7408 પોઝિટિવ કેસ નોંધાયા છે અને તેની સામે 7268 દર્દીઓ કોરોનામુક્ત થઇ જતા રિકવરી રેઇટ 98.11 ટકા થઇ ગયો છે. હાલ તાલુકા-ગ્રામ્ય કક્ષાએ માત્ર પાંચ દર્દીઓ કોરનાની સારવારમાં છે.
ભાવનગર શહેર-જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં આખરે આજે એક પણ નવો પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. કોરોનામાં હવે ભાવનગર જિલ્લામાં કહી શકાય કે બીજી લહેર સમાપ્ત થઈ ગઇ છે.હવે સમગ્ર જિલ્લામાં 28 જ દર્દીઓ સારવાર હેઠળ રહ્યાં છે પણ નવા કેસ આવવાના બંધ થઈ જતા તંત્ર એ નિરાંત નો શ્વાસ લીધો છે.