ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસમાં ધીરે ધીરે ધાંધિયા શરૂ થઇ રહ્યા છે જેથી કરીને લોકો પોતે જ ફેરીનો ઉપયોગ કરતા બંધ થાય તેવી સ્થિતિનું નિર્માણ ખુદ જહાજ ચલાવતી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગઈકાલની ફેરીમાં એસી બંધ રાખવામાં આવ્યું જેથી જહાજમાં મુસાફરી કરતા દર્દીઓ અને મુસાફરોને નાછૂટકે જહાજમાં બહારની તરફ બેસવું પડ્યું હતું. લોકોએ સરકાર સામે આક્ષેપ કર્યા છે કે, જેવા ફતવા કરો છો તેવી સુવિધા નથી મળતી અને એસીની ટિકિટો લઈને લોકોને રઝળાવવામાં આવી રહ્યા છે.
ભાવનગરની 600 કરોડના ખર્ચે બનેલી ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસમાં ઈન્ડિગો શી વે કંપની દ્વારા જહાજ ચલાવવમાં આવે છે. આ જહાજ જૂનું હોવાથી વારંવાર બંધ પડવાના કિસ્સા તાજા છે. ત્યારે ગઈકાલે કંપની દ્વારા એસીની ટિકિટના ભાવ લીધા બાદ પણ લોકોને એસીની સુવિધા મળી ન હતી. ગરમીમાં લોકો ટૂંકા માર્ગે ભાવનગર આવતા હોય ત્યારે દહેજ સુધીની બસ સર્વિસમાં ટિકિટ એસીની લેવામાં આવી પણ સુવિધા ઉપલબ્ધ ન હતી ત્યારે ફેરીમાં પણ બેઠા બાદ એસીની સુવિધા નહીં હોવાથી લોકોને ફરજીયાત જહાજમાં બહાર સહારો લેવો પડ્યો હતો. આ ફેરીમાં પાંચ જેટલા દર્દીઓ હતા જેને બેસવાની પણ વ્યવસ્થા કરવામાં જહાજના જવાબદારોએ હાથ ઊંચા કર્યા હતા. લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો કે જેવા ફતવા કરવામાં આવે છે એવી સુવિધાના નામે મીંડુ છે અને એસીના નામે પૈસા ખંખેરવામાં આવે છે.
ભાવનગરની ઘોઘા-દહેજ રો રો ફેરી સર્વિસ વ્યસ્થિત અને ઓછા દર સાથે ચલાવવમાં આવે તો ભાવનગરનો વિકાસ ચોક્કસ પણે થઇ શકે છે પણ કોઈને કોઈ કારણસર જહાજમાં દરમાં ઘટાડો થતો નથી અને મુસાફરોને દુવિધાઓ આપવામાં આવે છે જેથી સ્પષ્ટ થાય છે કે સરકાર ફેરીને શું બંધ કરવા માંગે છે? આવા સવાલ સાથે લોકોમાં રોષ છે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટને શું તાળા મારવાની પેરવી ચાલી રહી છે. કારણ કે હાલ ચાલી રહેલા જહાજ સાથે બીજી કંપનીને લાવવાની વાત સરકાર અને નેતાઓએ કરી હતી. પરંતુ હાલમાં એક કંપની પોતાની સેવા વ્યવસ્થિત પૂરી પાડી શકતી નથી. ત્યારે જોવાનું એ રહેશે કે સરકારની વાતો પોકળ સાબિત થાય છે કે રો રો સેવા વધુ મજબૂત કરવાના પ્રયાસ થાય છે કે પછી મુસાફરોને હેરાન કરીને ગ્રાહક નહીં મળતા હોવાનું કહીને અંતમાં તાળા લગાવી દેવામાં આવે છે તેવી અટકળો હાલ ચાલી રહી છે.