ભાવનગર શહેર ભાજપ દ્રારા વડાપ્રધાન મોદીજીના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સેવા પખવાડિયુ ઉજવાશે જે અંતર્ગત આજે તા.17/9ને શનિવારના રોજ સવારે 11 કલાકે અટલ બિહારી બાજપાઈ હૉલ મોતીબાગ ટાઉનહૉલ ખાતે નરેન્દ્રભાઈના જીવન પ્રસંગોનું પ્રદર્શન તેમજ તખ્તેશ્વર વોર્ડના યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ છે.
આ ઉપરાંત ભાવનગર યુવા ભાજપ મોરચા દ્વારા શહેરના પ્રત્યેક વોર્ડમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે. 21/9ને બુધવારના રોજ શહેર ભાજપ મહિલા મોરચો અને ડોક્ટર સેલ દ્વારા મહાનગરના પ્રત્યેક વોર્ડમાં હિમોગ્લોબિન ચેકઅપ અને દવા વિતરણ સેવાકાર્ય કરવામાં આવશે. તા.25ને રવિવારના રોજ સવારે 6 કલાકે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિતે શહેર ભાજપ યુવા મોરચા દ્વારા “રન ફોર ડેવલોપમેન્ટ” થીમ સાથે મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે.
ગાંધી જયંતિના દિવસે પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરના પ્રત્યેક વોર્ડમાં પંડિત દીનદયાળજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની ‘મન કી બાત’ સાંભળવામાં આવશે.
તા.1/10ને શનિવારના રોજ પ્રત્યેક વોર્ડમાં સ્વચ્છતા અભિયાન સેવાકાર્ય કરવામાં આવશે. સેવા પખવાડિયાના અંતમાં તા.2/10ને રવિવારના રોજ ગાંધી જયંતિ નિમિતે ક્રેસન્ટ ચોક ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને પુષ્પહાર કર્યા બાદ ગાંધી સ્મૃતિ ખાતે કાર્યકરો દ્વારા ખાદી ખરીદવામાં આવશે.
ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ ડો.રાજીવ પંડ્યાના માર્ગદર્શનમાં થનારા સેવાકાર્ય પખવાડિયાને સફળ બનાવવા માટે તા.15/9ને ગુરુવારના રોજ પંડિત દીનદયાળજી ભવન ખાતે એક અગત્યની બેઠક મળેલ જેમાં શહેર ભાજપ મહામંત્રીઓ અરુણભાઇ પટેલ, ડી.બી.ચુડાસમા અને યોગેશભાઈ બદાણીના માર્ગદર્શનમાં સેવા પખવાડિયાને સફળ બનાવવા બાબતે વિમર્શ કરવામાં આવેલ. જેમાં સમગ્ર વોર્ડ અને શહેર સંગઠન, મહાનગર પાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા નગરસેવકો, તમામ સેલ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.