ભાવનગરઃ તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં કહેર વરસાવ્યો છે. જેના પગલે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ચક્રવાતથી રાજ્યમાં અનેક લોકોનાં મોત અને કરોડોની માલ-મિલકત નાશ પામી છે. સર્વત્ર જળબંબાકારનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં ત્રાટકેલી આ કુદરતી હોનારતનાં કારણે થયેલા નુકસાનનું હવાઇ નિરિક્ષણ કરવા ભાવનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે એરફોર્સના હેલિકોપ્ટરથી હવાઈ નિરીક્ષણ શરું કર્યું છે.
પીએમ મોદી ભાવનગરનાં એરપોર્ટ પર ઉતરીને પહેલા અમરેલી અને ગીર સોમનાથના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરી રહ્યાં છે. સાથે જ તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે. નરેન્દ્ર મોદી હવાઈ નિરીક્ષણ કરીને ત્યારબાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે.
ઉલ્લેખનીય છે કે વાવાઝોડા પૂર્વે ગુજરાતના અનેક વિસ્તારોમાં તૂટી પડેલા વરસાદને અને તોફાની પવનને કારણે વેડવાની બાકી રહી ગયેલી કેરીનો મોટા ભાગનો પાક ખતમ થઈ ગયો હતો. ત્યારે વરસાદ અને વાવાઝોડાના પરિણામે બાકી રેહેલી કેરી ખતમ થઈ ગઈ છે. કચ્છમાં પણ કેસર કેરીના પાકને ઘણું નુકસાન થયું છે. 5 લાખ હેક્ટરના બગીચામાં આંબા 1.70 લાખ હેક્ટરમાં છે. આમ સૌથી વધુ કેરીને નુકસાન છે. 6 લાખ ટન કેરી ખરાબ થઈ ગઈ છે.
ગુજરાતમાં 5 લાખ હેક્ટર વિસ્તારમાં ફળોના બગીચાઓમાં ભારે નુકસાની થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ફળના સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયા છે. બાગાયતી ખેતીને મોટુ નુકસાન થયું છે. નાળિયેરીના ઝાડ પણ ધરાશાયી થઈ ગયા છે.
સૌરાષ્ટ્રમાં વેરાવળ માંગરોળ, કોડિનાર અને ઊના સહિતના વિસ્તારમાં લેવાતા બાજરી-તલના પાકને ઘણું જ મોટું નુકસાન થયું છે. તેની સાથે જ બાજરીનો લેવા પાત્ર બની ગયેલો પાક વરસાદને કારણે ખતમ થયો છે. જોકે ચણા, રાયડો, જીરૂં અને ધાણોનો પાક લેવાઈ ગયો હોવાથી બચી ગયો છે.