કચ્છના ભાજપના પૂર્વ જયંતી ભાનુશાળી હત્યાકેસમાં પોલીસે ખૂટકી કડીઓ મેળવી આજે પત્રકારોને માહિતી આપી હતી કે જંયતિ ભાનુશાળીની હત્યામાં ભાજપના જ પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને વાપીની મહિલા મનિષા ગોસ્વામીની સંડોવણી છે. ડીજીપી સીઆઈડી ક્રાઈમ ખાતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં નવા ધડાકા કરવામાં આવ્યા હતા કે મનિષા અને છબીલ પટેલે જ જયંતિ ભાનુશાળીનું ખૂન કરાવ્યું હતું.
પોલીસે કહ્યું કે હત્યારાઓ છબીલ પટેલના ફાર્મ હાઉસ પર રોકાયા હતા. અને તેમની બધી વ્યવસ્થા મનિષાએ કરી હતી, રૂપિયાની લેતી-દેતી અને રાજકીય અદાવતમાં ભાનુશાળીની સોપારી આપી શૂટરો પાસે હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.
કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતી ભાનુશાળીની આઠમી જાન્યુઆરીની રાત્રે ફિલ્મીઢબે ટ્રેનમાં ગોળી મારી હત્યા થઈ હોવાના બનાવે સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. છબીલ પટેલ સાથેના વિવાદ અને બાદમાં સેક્સકાંડના મામલે થોડા સમય પહેલા જ ખુબ વગોવાયેલા ભાનુશાળીનો હત્યા કરાયેલો મૃતદેહ ભુજથી મુંબઈ જતી સયાજીનગરી એક્સપ્રેસના ફર્સ્ટએસી કોચમાંથી મળી આવ્યો હતો. કચ્છના સુરજબારીથી મોરબીના માળિયા વચ્ચે આ બનાવ બન્યો હતો. બનાવની જાણ થતા જ ટ્રેનને માળીયા સ્ટેશને રોકી દેવાઈ હતી. ભાજપના નેતાની હત્યાના પગલે મોરબી જિલ્લા પોલીસનો કાફલો માળીયા દોડી ગયો હતો અને બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. હત્યામાં છબીલ પટેલની સંડોવણી હોવાની જયંતિભાઈના પત્નિ મધુબેન અને તેમના ભાઈ શંભુભાઈએ આશંકા વ્યકત કરી હતી અને તે પ્રમાણે પોલીસે ફરીયાદ દાખલ કરી હતી.
ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જયંતી ભાનુશાળી આઠમી જાન્યુઆરીની રાત્રે ભુજથી સયાજીનગર ટ્રેન નં.19116ના ફર્સ્ટ એસી કોચમાં અમદાવાદ જવા નિકળ્યા હતા. રાત્રિના બે વાગ્યાની આસપાસ ટ્રેન સુરજબારી અને કટારીયા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેમની બાજુમાં મુસાફરી કરતા પવન નામનો યુવાન લઘુ શંકા કરવા ગયો હતો અને પરત ફર્યો ત્યારે જયંતી ભાનુશાળીનો લોહીથી લથબથ મૃતદેહ જોયો હતો. આ સમય દરમિયાન અજાણ્યા હત્યારાઓએ તેને આંખના ભાગે અને છાતીમાં ગોળી ધરબી હત્યા કરી નાખી હતી.