મુંબઇઃ આજે ટેકનિકલ ખામીને પગલે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર રાબેતા સમયાનુસાર ટ્રેડિંગ થઇ શક્યુ નથી. જેના પગલે ભારતીય શેરબજારમાં આજે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જેમાં શેરબજારમાં ટ્રેડિંગ સાંજના 5 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. એટલે કે આજે રોકાણકારો સાંજના 5 વાગ્યા સુધી શેરબજારમાં ટ્રેડિંગ કરી શકશે.
NSE એ એક નોટિફિકેશનમાં જણાવ્યુ કે, આજે સાંજે 5 વાગ્યા સુધી ટ્રેડિંગ ચાલશે. 3.30 વાગે NSE પર ટ્રેડિંગ શરૂ થયુ છે જે 5 વાગ્યા સુધી ચાલશે.
ઉલ્લેખનિય છે કે, NSE ખાતે આજે સવારે 11.40 વાગે ટેકનિકલ ખામી સર્જાઇ હતી અને તેને લીધે કેશ સેગમેન્ટ તેમજ ફ્યૂચર સેગમેન્ટમાં ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યુ હતુ. ટેકનિકલ ખામીના પગલે લોકો જે કિંમતે શેરનું ખરીદ-વેચાણ કરે છે તે એક્સચેન્જ પર દેખાતા બંધ થઇ ગયા હતા. શેરની કિંમતોના લાઇવ ડેટા અપડેટ થઇ રહ્યા ન હતા.
ટેકનિકલ ખામી સુધાર્યા બાદ એનએસઇ પર 3.30 કલાકે ફરી ટ્રેડિંગ શેર શરૂ કરવામાં આવ્યુ હતુ. રોકાણકારોને ટ્રેડિંગમાં પડેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખતા સ્ટોક એક્સચેન્જ દ્વારા ટ્રેડિંગનો સમય વધારવાનો નિર્ણય લેવાયો હતો. તેની સાથે જ જે ઓર્ડર આજે પેન્ડિંગ હતા, તેમને કેન્સલ કરી દેવામાં આવ્યા છે.