આજકાલ સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસનું અભિયાન ચાલુ છે ત્યારે ઉત્તર ગુજરાતના મોડાસામાં સંજય રાઠોડ નામનો વ્યાજખોર ઝડપાયો છે અને કિરાણાની દુકાન ધરાવતા સંજય રાઠોડે કરોડોની પ્રોપર્ટી કેવી રીતે ઉભી કરી દીધી તે બધી ઉઠેલી વાતો વચ્ચે મોડાસામાં વેપારીએ વ્યાજખોર વેપારી સંજય રાઠોડ સામે ફરિયાદ નોંધાવતા મોડાસા ટાઉન પોલીસે નાસતા ફરતા વ્યાજખોરને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
મોડાસામાં કોઈ લાયસન્સ વગર લાખો રૂપિયા ધીરધાર કરનાર અને ઊંચા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી વ્યાપારીઓ તેમજ સામાન્ય માણસોની દુકાનો અને મકાનો ધાકધમકીથી પચાવી તેમજ વેચાણ કરાવી લાખો રૂપિયાની વસુલાત કરનાર સંજય વિરુદ્ધ ભારે ફરિયાદો ઉઠી હતી અને આ બધા વચ્ચે એક વેપારી દ્વારા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સંજય રાઠોડ વિરુદ્ધ ફરિયાદ થતાં તેને ઊંચકી લેવાયો છે.
આ બધા વચ્ચે સોશિયલ મીડિયામા સંજય રાઠોડ વિરુદ્ધ ની અરજી વાયરલ થઇ હતી જેમાં લાખો રૂપિયા આપી ઊંચું વ્યાજ વસૂલતો હોવા ઉપરાંત કરોડોની મિલકત વસાવી લીધા હોવાના આક્ષેપો કરાયા છે.
મોડાસાના વ્યાજખોર સંજય પ્રેમજીભાઇ રાઠોડ (રહે,રત્નમ સોસાયટી) પોલીસ સકંજામાં આવ્યો છે ત્યારે કેટલા લોકો પાસેથી ઊંચા વ્યાજે વસૂલ કર્યા છે તેમજ કેટલા લોકોની મિલકત પચાવી પાડી છે તેમજ લાખો રૂપિયા ક્યાંથી લાવ્યો તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે.
મોડાસા ટાઉન પોલીસ આ પ્રકરણમાં તપાસ કરી રહી છે.