8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર
8th Pay Commission કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતભરી ખુશખબર છે. કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે અને આવનારા મહિનાઓમાં તેની રચના થવાની સંભાવના છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંકેત આપ્યા બાદ આશા છે કે મે 2025માં આ પેનલ તૈયાર થશે. હજી સુધી સભ્યો અને અધ્યક્ષની નિમણૂક ન થઈ હોવા છતાં, પગાર પદ્ધતિમાં મોટો બદલાવ આવવાનો અહેવાલ છે.
ફિટમેન્ટ ફેક્ટર શું છે અને તેનો અર્થ શું થાય?
ફિટમેન્ટ ફેક્ટર એ પગાર પદ્ધતિનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે, જે નવો પગાર નક્કી કરે છે. સાતમા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતો, જેના આધારે નવો મૂળભૂત પગાર ગણવામાં આવ્યો હતો. આશા છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 સુધી જાઈ શકે છે. જો આમ થાય, તો કર્મચારીઓના પગારમાં લગભગ 186% નો વધારો થઈ શકે છે.
ઉદાહરણ તરીકે, હાલ જે કર્મચારીનો મૂળ પગાર ₹20,000 છે, તે 2.86 ફિટમેન્ટ ફેક્ટર મુજબ વધીને ₹57,200 થઈ શકે છે. જો કે, આ તદ્દન અનુમાન છે અને સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
અગાઉના પગાર પંચોનું અનુમાન
અગાઉના પગાર પંચોમાં પણ મોટા ફેરફાર જોવા મળ્યા હતા. પાંચમા પગાર પંચમાં મૂળ પગાર ₹2750 હતો, જે છઠ્ઠા પગાર પંચમાં ₹7000 અને સાતમા પગાર પંચમાં ₹18,000 થયો હતો – કુલ વધારો 554% રહ્યો છે.
સૈનિકો અને પેન્શનરોને પણ મળશે લાભ
આ પગાર પંચનો લાભ માત્ર નાગરિક કર્મચારીઓને નહીં, પણ સૈન્ય અને રક્ષા વિભાગના કર્મચારીઓ તેમજ પેન્શનરોને પણ મળશે. દેશમાં અંદાજે 36 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો આ પગાર પંચ અંગે આશાવાન છે.
8મા પગાર પંચની રચનાની સાથે જ મોટી રાહતની શક્યતા છે, પરંતુ હકીકતમાં કેટલો વધારો થશે તે સરકારની જાહેર કરેલી ભલામણ અને ફાઈનલ ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત રહેશે.