Adani group : અદાણી ગ્રુપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલ મુજબ, અદાણી એનર્જી સોલ્યુશન્સ સ્માર્ટ મીટર પ્રોજેક્ટ્સ માટે $600 મિલિયનનું ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર આ લોન 3 થી 5 વર્ષ માટે હોઈ શકે છે.
આ પૈસાની જરૂર કેમ પડી?
ભારત આગામી કેટલાક વર્ષોમાં સમગ્ર દેશમાં 250 મિલિયન સ્માર્ટ મીટર સ્થાપિત કરવા જઈ રહ્યું છે. સરકારની આ યોજનાને કારણે સ્નેડર ઈલેક્ટ્રિક SE અને Electricite de France SA જેવી કંપનીઓ પણ આ ક્ષેત્રમાં રોકાણકારો તરીકે આકર્ષાઈ છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં, અદાણી એનર્જી સોલ્યુશન્સે દેશ અને વિદેશમાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવા માટે UAEની કંપની Esyasoft સાથે કરાર કર્યો હતો.
અદાણી એનર્જી સોલ્યુશન્સને ડિસેમ્બર 2023 ક્વાર્ટરમાં $276 મિલિયનનો પ્રોજેક્ટ મળ્યો હતો. આ સિવાય કંપનીએ કહ્યું છે કે તેમની પાસે 302 કિલોમીટરના ટ્રાન્સમિશન નેટવર્કનું કામ પણ છે.
અદાણી-અંબાણી વચ્ચે નવી ડીલ
અદાણી ગ્રુપની આ નવી લોન અંગેના સમાચાર એવા સમયે આવી રહ્યા છે જ્યારે મુકેશ અંબાણીએ ગઈકાલે એટલે કે ગુરુવારે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર અનુસાર મહાન એનર્જી પાવર પ્રોજેક્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો હશે. 27 માર્ચે થયેલા કરાર મુજબ મુકેશ અંબાણીની પાસે અદાણી ગ્રુપની સબસિડિયરી કંપનીના 5 કરોડ શેર હશે. આ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 50 કરોડ રૂપિયા ચૂકવશે.