Financial Services: નાણાકીય સેવાઓના સચિવ વિવેક જોશીએ જણાવ્યું હતું કે વિદેશી મૂડી પ્રવાહના વધુ ઉદારીકરણના ધોરણોને કારણે છેલ્લા નવ વર્ષમાં લગભગ રૂ. 54,000 કરોડનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) વીમા ક્ષેત્રમાં આવ્યું છે. જોશીએ જણાવ્યું હતું કે સરકારે વીમા ક્ષેત્રમાં એફડીઆઈ મર્યાદા 2015માં 26 ટકાથી વધારીને 49 ટકા કરી હતી અને પછી તેને 2021માં સુધારીને 74 ટકા કરી હતી. તેમણે કહ્યું કે સરકારે વર્ષ 2019માં વીમા મધ્યસ્થી કંપનીઓ માટે માન્ય FDI મર્યાદા વધારીને 100 ટકા કરી છે.
તેમણે કહ્યું કે સરકારના આ પગલાંના પરિણામે ડિસેમ્બર 2014થી જાન્યુઆરી 2024 વચ્ચે Financial Service માં કુલ 53,900 કરોડ રૂપિયાનું FDI આવ્યું. જોશીએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન વીમા ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓની સંખ્યા જાન્યુઆરી 2024 સુધીમાં 53 થી વધીને 70 થઈ ગઈ. તેમણે કહ્યું કે વીમા ઉત્પાદનોનો પ્રવેશ નાણાકીય વર્ષ 2013-14માં 3.9 ટકા હતો, જે નાણાકીય વર્ષ 2022-23માં વધીને ચાર ટકા થયો છે. તે જ સમયે, વીમા ઘનતા 2013-14માં US$52 થી વધીને 2022-23માં US$92 થઈ ગઈ.
વીમા પ્રવેશને કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) માટે વીમા પ્રિમીયમની ટકાવારી તરીકે માપવામાં આવે છે
જ્યારે વીમા ઘનતાની ગણતરી વસ્તીના પ્રમાણમાં વીમા પ્રિમીયમ તરીકે કરવામાં આવે છે. વીમા કંપનીઓના સંચાલન હેઠળની સંપત્તિ 2013-14માં રૂ. 21.07 લાખ કરોડથી લગભગ ત્રણ ગણી વધીને રૂ. 60.04 લાખ કરોડ થઈ હતી. કુલ વીમા પ્રીમિયમ માર્ચ 2014માં રૂ. 3.94 લાખ કરોડથી બમણાથી વધુ વધીને રૂ. 10.4 લાખ કરોડ થયું છે. ઓગસ્ટ, 2000માં ખાનગી કંપનીઓ માટે વીમા ક્ષેત્ર ખોલવામાં આવ્યું હતું. જ્યારે વિદેશી કંપનીઓને 26 ટકા સુધીની માલિકીની છૂટ હતી. તે સમયથી ઘણી વિદેશી કંપનીઓએ વીમા ક્ષેત્રમાં રોકાણ કર્યું છે.