FD News: મોદી સરકારે ગયા નાણાકીય વર્ષમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર કમાયેલા વ્યાજ પર વરિષ્ઠ નાગરિકો પાસેથી રૂ. 27,000 કરોડથી વધુ ટેક્સ વસૂલ્યો છે. દેશના સૌથી મોટા ધિરાણકર્તા SBIના સંશોધકોએ આ માહિતી આપી.
એસબીઆઈના સંશોધકોના અહેવાલમાં જણાવાયું છે કે છેલ્લા પાંચ વર્ષમાં થાપણોની કુલ રકમ 143 ટકા વધીને નાણાકીય વર્ષ 2023-24ના અંતે રૂ. 34 લાખ કરોડ થઈ છે, જે પાંચ વર્ષ અગાઉ રૂ. 14 લાખ કરોડ હતી. રિપોર્ટ અનુસાર, ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુ વ્યાજ દરને કારણે, આ ડિપોઝિટ સ્કીમ વરિષ્ઠ નાગરિકોમાં ખૂબ લોકપ્રિય બની છે. આ સમયગાળા દરમિયાન ફિક્સ ડિપોઝિટ ખાતાઓની કુલ સંખ્યા 81 ટકા વધીને 7.4 કરોડ થઈ ગઈ છે.
SBIના સંશોધકોનો અંદાજ છે કે આમાંથી 7.3 કરોડ ખાતામાં 15 લાખ રૂપિયાથી વધુની રકમ જમા છે. આ થાપણો પર 7.5 ટકા વ્યાજના અંદાજને ધ્યાનમાં રાખીને, વરિષ્ઠ નાગરિકોએ ગયા નાણાકીય વર્ષમાં માત્ર વ્યાજના રૂપમાં રૂ. 2.7 લાખ કરોડની કમાણી કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમાં બેંક ડિપોઝિટમાંથી 2.57 લાખ કરોડ રૂપિયા અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમમાંથી બાકીની રકમ સામેલ છે.