Air India Express
એર ઈન્ડિયા એક્સપ્રેસ: એરલાઈને ફ્લાઈટ્સ કેન્સલ થવાથી પ્રભાવિત થયેલા મુસાફરોની માફી પણ માંગી હતી અને ફ્લાઈટના સમયપત્રકને ઝડપથી પુનઃસ્થાપિત કરવા વિશે પણ જાણ કરી હતી.
Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બરોએ કામ પર પાછા ફરવાનું શરૂ કરી દીધું છે. આ સાથે શુક્રવારે એરલાઇનના કામકાજમાં ધીરે ધીરે સુધારો જોવા મળ્યો હતો. ક્રૂ મેમ્બર્સની હડતાળને કારણે ફ્લાઈટ સેવાઓ મોટાભાગે ખોરવાઈ ગઈ હતી. એરલાઇનમાં કથિત ગેરવહીવટના વિરોધમાં ક્રૂ મેમ્બર્સનો એક વર્ગ હડતાળ પર ગયો હતો. તેમણે મંગળવારે રાત્રે હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી જેની સાથે એરલાઇન મેનેજમેન્ટે 25 ક્રૂ મેમ્બરના બરતરફી પત્રને પાછો ખેંચી લીધો હતો.
મંગળવાર રાતથી અત્યાર સુધીમાં 170 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે
હડતાલને કારણે ટાટા ગ્રુપની માલિકીની એરલાઈને મંગળવાર રાતથી 170 ફ્લાઈટ્સ રદ કરી દીધી હતી. એર ઈન્ડિયા એક્સપ્રેસ દરરોજ લગભગ 380 ફ્લાઈટ્સ ઓપરેટ કરે છે. હડતાળને કારણે કંપનીએ ફ્લાઈટ ઓપરેશનમાં કાપ મૂક્યો હતો. જો કે, આજે પ્રશ્નના જવાબમાં એરલાઇનના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી બે દિવસમાં સ્થિતિ સામાન્ય થવાની આશા છે. જે ક્રૂ મેમ્બર્સ હડતાળ પર હતા તેઓ હવે કામ પર પાછા ફર્યા છે. એરલાઇન તેમને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં મદદ કરી રહી છે.
અધિકારીએ એમ પણ કહ્યું કે મોટાભાગની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સાંજના સમયે હોય છે. વધુ ક્રૂ સભ્યોની ઉપલબ્ધતા સાથે શુક્રવારથી કામગીરીમાં સુધારો થવાની અપેક્ષા છે. એરલાઇન દરરોજ સરેરાશ 120 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ અને 260 ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસ સંકટ કેમ સર્જાયું?
એર ઈન્ડિયા એક્સપ્રેસે ગુરુવારે ક્રૂ સભ્યોની અછતને કારણે 85 ફ્લાઈટ્સ અથવા તેની કુલ દૈનિક ક્ષમતાના લગભગ 23 ટકા કેન્સલ કરી હતી. ગુરુવારે હડતાલ સમાપ્ત થયા પછી એરલાઈને કહ્યું હતું કે તે ફ્લાઈટના સમયપત્રકને ઝડપથી પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે. તેણે ફ્લાઇટ કેન્સલ થવાથી પ્રભાવિત થયેલા મુસાફરોની પણ માફી માંગી હતી.
શું બાબત હતી
ક્રૂ સભ્યોના એક વર્ગે એરલાઇનમાં કથિત ગેરવહીવટના વિરોધમાં ‘બીમાર’ હોવાની જાણ કરી હતી. જે બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસે ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી.