2 વર્ષમાં પેટ્રોલ, ડીઝલ અને ઈલેક્ટ્રિક વાહનોના ભાવ સરખા થઈ જશે? જાણો કેવી રીતે છે શક્ય
નીતિન ગડકરીએ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના એક ઈવેન્ટમાં કહ્યું હતું કે જો ભારતમાં ઈલેક્ટ્રીક ક્રાંતિ આવશે તો બે વર્ષમાં ઈલેક્ટ્રીક વાહનોની કિંમત પેટ્રોલ અને ડીઝલની કિંમતો જેટલી થઈ જશે.
ભારતમાં તેમજ વિદેશમાં પણ ઈલેક્ટ્રિક વાહનોનો દબદબો છે, પરંતુ ભારતમાં હાલમાં માત્ર થોડાં જ ઈલેક્ટ્રિક વાહનો રસ્તાઓ પર દેખાય છે. તેનું સૌથી મોટું કારણ EVsની કિંમત છે, જે પેટ્રોલ-ડીઝલ વાહનોની કિંમત કરતાં થોડી વધારે છે. આ વિશે વાત કરતા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં આ વાતાવરણને સંપૂર્ણપણે બદલવા માટે માત્ર એક જ EV ક્રાંતિની રાહ જોવાઈ રહી છે, જેના પછી ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો જેટલી થશે. જો આવું થાય તો માત્ર 2 વર્ષમાં પેટ્રોલ-ડીઝલ અને ઈલેક્ટ્રિક વાહનોની કિંમતો સમાન થઈ શકે છે.
ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ઓછી
વર્ચ્યુઅલ રીતે આયોજિત ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના એક કાર્યક્રમમાં બોલતા નીતિન ગડકરીએ કહ્યું, “ઈલેક્ટ્રિક વાહનોની કિંમત વધારે છે કારણ કે તેમની સંખ્યા ઓછી છે. પરંતુ ભારત EV ક્રાંતિની રાહ જોઈ રહ્યું છે અને 250 થી વધુ સ્ટાર્ટઅપ્સ ભારતમાં સસ્તું EV ટેકનોલોજી લાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. આ પછી મોટા ઓટોમેકર્સે પણ એફોર્ડેબલ ઈલેક્ટ્રિક વાહનો લાવવાનું શરૂ કર્યું છે અને સ્પર્ધા વધવા લાગી છે. ટૂંક સમયમાં ભારત EVsનું સૌથી મોટું બજાર બની જશે. દેશમાં ઈલેક્ટ્રિક વાહનો માટે વર્તમાન સુવિધાઓ અને ચાર્જિંગ સિસ્ટમમાં મોટા પ્રમાણમાં સુધારો કરવાનું કામ આગામી 5 વર્ષમાં કરવામાં આવશે.
બજાર માટે સારા સંકેતો
ટુ-વ્હીલર હોય, થ્રી-વ્હીલર હોય કે ફોર-વ્હીલર હોય, ઈલેક્ટ્રીક વાહનોમાં સ્પર્ધા ઝડપથી વધી રહી હોય તેવું લાગી રહ્યું છે અને આ બજાર માટે સારા સંકેતની સાથે સાથે આપણા માટે પણ ખૂબ જ સારી બાબત છે. વધુ ઇલેક્ટ્રિક વાહનો એટલે ઓછું પ્રદૂષણ અને સારું સ્વાસ્થ્ય. આ માટે સમગ્ર વિશ્વમાં ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને COP26 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2070 સુધીમાં ભારતને શૂન્ય કાર્બન ઉત્સર્જન રાષ્ટ્ર બનાવવાનું વચન આપ્યું છે. EV વિશે વાત કરવા સાથે, ગડકરીએ વાહન સ્ક્રેપેજ નીતિ અને તેના ફાયદાઓ પર પણ ભાર મૂક્યો છે.