ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં રંગ મેઘાણી ફોક ફ્યુઝન સાથે સાંસ્કૃતિક ઉત્સવની ધૂમ
ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પાંચાળની ઐતિહાસિક ધરા પર બે દિવસીય ‘ચોટીલા ઉત્સવ ૨૦૨૬’નો ભવ્ય શુભારંભ થયો છે. જગપ્રસિદ્ધ શક્તિપીઠ મા ચામુંડાના સાનિધ્યમાં આયોજિત આ ઉત્સવના પ્રથમ દિવસે લોકસાહિત્ય અને ભક્તિ સંગીતની હેલી જોવા મળી હતી. આ પ્રસંગે કલેક્ટર શ્રી કે. એસ. યાજ્ઞિકે જણાવ્યું હતું કે ચોટીલા એ માત્ર ભક્તિનું કેન્દ્ર નથી, પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ પણ છે. સરકારનો મુખ્ય હેતુ આવા ઉત્સવો દ્વારા સ્થાનિક લોકકલાઓ અને વિરાસતને જીવંત રાખી નવી પેઢી સુધી પહોંચાડવાનો છે.
મેઘાણીજીની સ્મૃતિમાં ‘રંગ મેઘાણી’ની પ્રસ્તુતિ
ઉત્સવના પ્રથમ દિવસે મુખ્ય આકર્ષણ તરીકે ‘રંગ મેઘાણી ફોક ફ્યુઝન મ્યુઝિક શો’ રજૂ કરવામાં આવ્યો હતો. ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમની જ જન્મભૂમિ પર આ સ્વરાંજલિ અર્પવી એ સમગ્ર જિલ્લા માટે ગૌરવની ક્ષણ બની રહી હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી ભરતસિંહ ગોહિલે જણાવ્યું કે, આધુનિક શૈલીમાં રજૂ થયેલા દુહા, છંદ અને લોકસાહિત્ય દ્વારા યુવા પેઢીને આપણા ભવ્ય વારસા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેઘાણીજીની અમર રચનાઓએ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને વાતાવરણને દેશભક્તિ તથા સાહિત્યના રંગે રંગી દીધું હતું.
વિવિધ લોકનૃત્યોની જમાવટ અને સાંસ્કૃતિક સંગમ
ચોટીલાની પવિત્ર ધરતી પર આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ કળાઓનો સંગમ જોવા મળ્યો હતો. અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા સંગીતમય પ્રસ્તુતિ ઉપરાંત રાજકોટના સ્પંદન ગ્રુપ દ્વારા ગણેશ વંદના અને લાવણી નૃત્ય રજૂ કરાયા હતા. થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા પ્રખ્યાત હુડો રાસની ધૂમ મચી હતી, જ્યારે ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના પાવરી નૃત્યએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. આ સાંસ્કૃતિક વિવિધતાએ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના દર્શન કરાવી સૌને ડોલાવી દીધા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિ અને કલાકારોનું સન્માન
કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા થયો હતો, જેમાં ચોટીલા મંદિરના મહંત શ્રી લાલબાપુ અને અન્ય સંતો-મહંતો તેમજ વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પરથી સહભાગી થયેલા તમામ કલાકારોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તો અને કલાપ્રેમી જનતાએ આ ભવ્ય સાંસ્કૃતિક સંધ્યાને માણી હતી. બીજા દિવસે યોજાનારા સિદ્દી ધમાલ અને નામી કલાકારોના કાર્યક્રમોમાં જોડાવા માટે પણ તંત્ર દ્વારા જાહેર જનતાને ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
