કિકેટના ચાહકો માટે ચિંતાના સમાચાર છે. IPL 2021ની શરૂઆત થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ વચ્ચે દિલ્હી કેપિટલ્સ માટે માઠા સમાચાર છે. તેના સ્ટાર ઑલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. ટીમ માટે આ બેવડો ઝટકો છે કારણ કે નિયમિત કેપ્ટન શ્રેયસ ઐય્યર સમગ્ર સીઝનમાંથી બહાર છે.
દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીના સૂત્રોએ જણાવ્યું કે અક્ષર કોવિડ-19ના ટેસ્ટમાં પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હવે તેણે તેને લગતા પ્રોટોકોલનું પાલન કરવુ પડશે. દિલ્હી કેપિટલ્સે પોતાની પ્રથમ મેચ ચેન્નઉ સુપર કિંગ્સ સામે મુંબઇમાં 10 એપ્રિલે રમવાની છે. ટીમના ધાકડ બેટ્સમેન અને કેપ્ટન શ્રેયસ ઐય્યર ઇજાગ્રસ્ત હોવાના કારણે પહેલા જ વર્તમાન સીઝનમાંથી બહાર છે.
27 વર્ષીય અક્ષર પટેલે IPL કરિયરમાં અત્યાર સુધી 97 મેચોમાં પોતાની સ્પિન બોલીંગથી 80 વિકેટ ઝડપી છે અને 913 રન પણ બનાવ્યા છે. વિશ્વની સૌથી આકર્ષક ટી20 લીગ આ વખતે ભારતના છ શહેરોમાં રમાશે. ચેન્નઇમાં 9 એપ્રિલે મુંબઇ ઇન્ડિયન્સ અ રૉયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચથી વર્તમાન સીઝનની શરૂઆત થશે. આ વચ્ચે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે.
સમગ્ર દેશ કોરોનાના સંક્રમણ સામે ઝઝૂમી રહયો છે અને તેની વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા 9 એપ્રિલથી આઈપીએલનુ આયોજન કરવામાં આવ્યુ છે. દરમિયાન આઈપીએલ પર પણ હવે કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે.આઈપીએલ રમનારા ક્રિકેટરોને તો બાયો બબલમાં રાખવામાં આવ્યા છે પણ ટુર્નામેન્ટ શરુ થવાના એક સપ્તાહ પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફના આઠ સભ્યો કોરોનાના સપાટામાં આવ્યા છે.