મુંબઇ : ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર જસપ્રીત બુમરાહના ચાહકો માટે એક ખુશખબરી છે. બીસીસીઆઇના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે બુમરાહના ખભાનો સ્કેન કરાયો છે અને તેમાં કોઇ સમસ્યા જોવા મળી નથી. આઇપીએમલમાં મુંબઇ ઇન્ડિયન્સ વતી રમતા બુમરાહને રવિવારે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ડાબા ખભા પર ઇજા થઇ હતી. પંતના એક શોટને અટકાવવા જતાં તેને આ ઇજા થઇ હતી. તેના કારણે માત્ર મુંબઇ ઇન્ડિયન્સ જ નહીં પણ ભારતીય ટીમ મેનેજમેન્ટમાં ચિંતાની લાગણી ફરી વળી હતી.
ઇંગ્લેન્ડમાં 30મી મેથી શરૂ થયેલા વનડે વર્લ્ડકપ માટેની ભારતીય યોજનાઓમાં તેનો સમાવેશ થાય છે અને ભારતીય બોલિંગ આક્રમણ તેના પર વધુ નિર્ભર છે. બુમરાહ ડેથ ઓવર્સમાં શ્રેષ્ઠ બોલર ગણાય છે. તે રવિવારે આ ઇજા થઇ પછી બેટિંગ કરવાં માટે પણ આવ્યો નહોતો તેથી તેની ઇજા ગંભીર હોવાની અટકળો સાથે ભારતીય ચાહકોમાં પણ ચિંતાની લહેર વ્યાપી હતી.
જોકે બીસીસીઆઇ અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે બુમરાહની ઇજા એટલી ગંભીર નથી, તેમણે કહ્યું હતું કે બુમરાહના ખભાનો સોમવારે સ્કેન કરાયો હતો. જેના પર બીસીસીઆઇએ પણ નજર રાખી હતી.
સ્કેનનો રિપોર્ટ સારો આવ્યો છે અને તેમાં કંઇ ગંભીર જણાયું નથી. આ દરમિયાન બીસીસીઆઇએ સૂચવેલા અન્ય ટેસ્ટ પણ કરાયા હતા. મુંબઇ ઇન્ડિયન્સની ટીમ બેંગ્લુરૂ રવાના થઇ ચુકી છે છતાં બુમરાહ કેમ મુંબઇમાં જ રોકાયો ત્યારે તેમણે કહ્યું હતું કે તેના રિપોર્ટસ આવતા મોડું થયું છે તેથી તે રોકાયો હતો અને હવે તે એકલો જ બેંગ્લુરૂ રવાના થશે. મુંબઇ ઇન્ડિયન્સે પોતાની આગલી મેચ 28 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમવાની છે.