મુંબઇ : રવિવારે રાત્રે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં બોલિંગ કરચી વખતે અંતિમ ઓવરમાં મુંબઇ ઇન્ડિયન્સનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પંતે મારેલા એક શોટને અટકાવવા જવાના પ્રયાસમાં એવો પડ્યો હતો કે તેના ખભામાં ઇજા થઇ હતી, જે તે સમયે તેને થયેલી આ ઇજા અને તેની હાલત જોઇને ભારતીય ક્રિકેટ ચાહકોને એવી ચિંતા થઇ હતી કે કયાંક આ ઇજા બુમરાહને ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપમાંથી આઉટ ન કરી દે.
પંતે બુમરાહ ભણી શોટ માર્યો ત્યારે તેણે ગુલાંટ ખાઇને બોલ તો અટકાવ્યો પણ એ દરમિયાન જે રીતે તે ખભો પકડીને કણસતો દેખાયો તેનાથી એવું લાગ્યું હતું કે બુમરાહને ખભામાં ગંભીર ઇજા થઇ છે. તે પછી મુંબઇ ઇન્ડિયન્સના ફિઝિયો મેદાન પર આવીને બુમરાહને પોતાની સાથે લઇ ગયા હતા. બુમરાહ બેટિંગ કરવા માટે પણ ન ઉતર્યો તેનાથી તેની ઇજા ગંભીર હોવાની વાતો થવા માંડી હતી.
જો કે આજેં બુમરાહની ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા તેની ઇજા સંબંધે અપડેટ આપવામાં આવ્યું હતુ, અને તમામને હાશકારો થાય તેવા સમાચાર તેમના દ્વારા અપાયા હતા. આ અપડેટમાં કહેવાયું હતું કે બુમરાહની ઇજા એટલી ગંભીર નથી અને તે આગામી મેચમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે, આ તરફ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા સંજય માંજરેકરે પણ એ વાતની પુષ્ટિ કરી છે કે બુમરાહની હાલત સારી છે. અહેવાલો અનુસાર બુમરાહ બોલ અટકાવવા ગયો ત્યારે તેના ખભાના સ્નાયુ ખેંચાયા હતા અને તેના કારણે તેને જોરદાર દુખાવો થયો હતો., જો કે તે પછી તેણે પોતાને રાહત હોવાનું જણાવ્યું હતું.