ટીમ ઇન્ડિયાના યુવા ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઇજાને કારણે ઘરઆંગણે રમાનારી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાંથી આઉટ થઇ જતાં ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. બુમરાહને તેની પીઠના નીચલા હિસ્સામાં નજીવુ સ્ટ્રેસ ફ્રેક્ચર હોવાનું જાહેર થયું હતું અને તેના કારણે તે આવતા મહિને બાંગ્લાદેશ સામેની સિરીઝ પણ ગુમાવે તેવી સંભાવના છે. પસંદગીકારોએ તેના સ્થાને 2 ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમ ખાતેની પ્રથમ ટેસ્ટથી શરૂ થઇ રહેલી ટેસ્ટ સિરીઝ માટે ઝડપી બોલર ઉમેશ યાદવને ટીમમાં સામેલ કર્યો છે.
બીસીસીઆઇ દ્વારા એક યાદીમાં જણાવાયું હતું કે એક નિયમિત રેડિયોલોજિકલ સ્ક્રિનીંગ દરમિયાન તેની આ ઇજા બહાર આવી હતી. હવે બુમરાહ એનસીએ ખાતે રિહેબિલીટેશન હેઠળ રહેશે અને તેના પર બીસીસીઆઇની મેડિકલ ટીમ નજર રાખશે. બીસીસીઆઇના એક અધિકારીએ એવું જણાવ્યું હતું કે બુમરાહ સંભવત: બાંગ્લાદેશ સામેની 3થી 26 નવેમ્બર દરમિયાનની ધરઆંગણેની 3 ટી-20 અને 2 ટેસ્ટની સિરીઝ પણ ગુમાવશે. બીસીસીઆઇના અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું હતું કે જસપ્રીત ઓછામાં ઓછો 7થી 8 અઠવાડિયા સુધી ક્રિકેટથી દૂર રહેશે. તે સંભવત: નવેમ્બરના અંત સુધી ક્રિકેટથી દૂર રહેશે. તેમણે કહ્યું હતું કે તેની ઇજાના પ્રાથમિક તબક્કે તે બહાર આવી ગઇ તે સારું થયું, કે તેના કારણે તે બે મહિનામાં સાજો થઇ જશે, નહીં તો સ્ટ્રેસ ફ્રેક્ચરને સારું થવામાં મહિનાઓ વિતી જાય છે.