મુંબઇ : વાનખેડે સ્ટેડિયમ પર રવિવારે રાત્રે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે મુંબઇ ઇન્ડિયન્સની ટીમનો 37 રને પરાજય થયો, પણ આ મેચમાં યુવરાજ સિંહે જે રીતે પોતાની ઇનિંગ રમી તેનાથી મુંબઇ ઇન્ડિન્સ ટીમ મેનેજમેન્ટને રાહત થઇ હશે. યુવરાજ જ્યારે મેદાન પર આવ્યો ત્યારેં ટીમ 37 રનમાં બે વિકેટ ગુમાવી ચુકી હતી. યુવરાજે એક છેડો સાચવી રાખ્યો હતો અને તેણે 35 બોલમાં પાંચ ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 53 રનની અર્ધશતકીય ઇનિંગ રમી હતી. આઇપીએલમાં બે વર્ષ પછી તેણે અર્ધ સદી ફટકારી છે.
આ મેચ પછી યુવરાજને જ્યારે તેની નિવૃત્તિ અંગે સવાલ કરાયો ત્યારે તેણે ખુબ જ રસપ્રદ અંદાજમાં તેનો જવાબ આપતા કહ્યું હતું કે જે દિવસે મને એ વાતનો ખ્યાલ આવી જશે કે હું નહી રમી શકું તે દિવસે હુ જાતે જ નિવૃત્ત થઇ જઇશ. તેણે કહ્યું હતું કે હું આજે પણ ક્રિકેટને એ રીતે જ માણી રહ્યો છું જે રીતે ક્યારેક અંડર 16 માટે રમતી વખતે માણતો હતો. મને આ રમત સાથે પ્રેમ છે એટલે જ હું તે રમુ છું. જ્યાં સુધી મને રમવાનો આનંદ આવશે ત્યાં સુધી હું રમતો રહીશ. ભારતીય ટીમમાં રમતી વખતે પણ મને કદી એવું નથી લાગ્યું કે હું ભારત વતી રમું છું, તે સમયે પણ મને એવું લાગતું હતું કે હું આજે પણ અંડર 14 કે અંડર 16 ટીમ માટે રમી રહ્યો છું.
યુવરાજે પંતની મુક્તમને પ્રશંસા કરી
મેચ પછીની પત્રકાર પરિષદમાં યુવરાજ સિંહે પંતની મુક્ત મને પ્રશંસા કરતાં કહ્યું હતું કે હું વર્લ્ડ કપ માટેની ટીમમાં તેની પસંદગી બાબતે કંઇ કહી ન શકું, પણ આજે તેણે શ્રેષ્ઠતમ પ્રદર્શન કર્યું છે. ગત સિઝનમાં પણ પંતનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું .તે ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કરી જ રહ્યો છે. 21 વર્ષની વયે વિદેશની ધરતી પર બે ટેસ્ટ સદી વિંઝવી એ તેના જુસ્સાને જાહેર કરે છે. એ મહત્વપૂર્ણ છે કે આપણે તેને યોગ્ય રીતે નીખારીએ અને હું આશા રાખું છું કે તે આપણા માટે ભાવિનો મોટો ખેલાડી બનશે.