નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ 17 ઓક્ટોબરથી સાહરુ થનારી 2021 ટી20 વર્લ્ડ કપ માટે ગ્રુપની જાહેરાત કરી છે. આઇસીસીએ ટૂર્નામેન્ટને વધુ રોમાંચક બનાવવા માટે ભારત અને પાકિસ્તાનને સમાન જૂથમાં મૂક્યા છે. આવી સ્થિતિમાં, બે વર્ષ પછી ફરી એકવાર ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો સામ-સામે આવશે.
આઈસીસીએ ભારત અને પાકિસ્તાન બંનેને ગ્રુપ 2 માં સ્થાન આપ્યું છે. આ સિવાય આ ગ્રુપમાં ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બે ક્વોલિફાયર ટીમો હશે. તમને જણાવી દઈએ કે 2021 ટી 20 વર્લ્ડ કપ સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાશે.
આ પહેલા, છેલ્લી વખત ભારત અને પાકિસ્તાનની ટીમો 2019 ના વનડે વર્લ્ડ કપમાં મેદાનમાં સામસામે ટકરાઈ હતી. ત્યારે પણ ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. પાકિસ્તાન હજી સુધી વનડે અને ટી 20 વર્લ્ડ કપમાં ભારત સામે જીત નોંધાવવામાં સફળ રહ્યું નથી.
ગયા ટી 20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જોકે તે સમયે ગ્રુપ બીમાં આ બંને ટીમો ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ પણ હતા. ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને આઇસીસીએ ફરી એકવાર બંને ટીમોને સમાન જૂથમાં સ્થાન આપ્યું છે.