ધર્મશાળામાં પહેલી મેચ વરસાદે ધોઇ નાંખ્યા પછી બુધવારે અહીં રમાનારી બીજી ટી-20 મેચ જીતીને ભારતીય ટીમ પ્રવાસી દક્ષિણ આફ્રિકા સામે સરસાઇ મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, આ મેચ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત માટે મહત્વપૂર્ણ સાબિત થશે, કારણકે છેલ્લી કેટલીક મેચોમાં તે પોતાને મળેલી તકનો ફાયદો ઉઠાવી શક્યો નથી અને તેના પર આ મેચમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે.
આવતા વર્ષે રમાનારા ટી-20 વર્લ્ડકપ આડે હજુ 12 મહિના કરતાં વધુનો સમય બાકી છે પણ કેપ્ટન કોહલીએ પોતાની યોજના જાહેર કરતા કહી દીધું છે કે હાલમાં ટીમમાં સામેલ યુવા ખેલાડીઓએ પોતાને મળતી મર્યાદિત તકોમાં ખુદને સાબિત કરવા પડશે. આ યુવા ખેલાડીઓમાં પંતનો પણ સમાવેશ શાય છે. ટીમ મેનેજમેન્ટે સ્પષ્ટ કરી દીધું છે કે આ વિકેટકીપર બેટ્સમેન પોતાની ભુલોને સતત દોહરાવી નહીં શકે, જો એવું કરશે તો તેનું નુકસાન તે ભોગવશે. કોહલીએ ટીમમાં ધોનીની વાપસીનો માર્ગ ખુલ્લો રાખ્યો છે તેથી પંત પર દબાણ વધી રહ્યું છે.
આ સિવાય લેગ સ્પિનર રાહુલ ચાહર અને વોશિંગ્ટન સુંદર પર પણ દબાણ રહેશે. આ બંને બોલરને સતત બીજી સિરીઝમાં કુલદીપ યાદવ અને યજુવેન્દ્ર ચહલની જોડીને બાજુએ મુકીને પ્રાધાન્ય અપાયું છે. આ ઉપરાંત શ્રેયસ ઐય્યર અને મનિષ પાંડે માટે પણ આ સિરીઝ મહત્વપૂર્ણ છે, કારણ તેમનો સમાવેશ મિડલ ઓર્ડરને મજબૂત કરવા માટે કરાયો છે. વેસ્ટઇન્ડિઝમાં ફેલ ગયેલો શિખર ધવન પણ પોતાની તાકાત અજમાવવા આતુર હશે. આ મેદાન ધવનનું ફેવરિટ છે અને અહીં તેણે કેટલીક મોટી ઇનિંગ રમી છે.