નવદીપ સૈની જેવી શાનદાર પ્રતિભાને ટીમમાં સ્થાન મળવાથી ખુશ ભૂવનેશ્વર કુમારે કહ્યું કે તે રાષ્ટ્રીય ટીમમાં આવા યુવા ખેલાડીઓને માર્ગદર્શન આપવા માટે હંમેશા તૈયાર છે. વેસ્ટઇન્ડિઝ સામે શનિવારે રમાયેલી મેચમાં નવદીપે ત્રણ જ્યારે ભૂવનેશ્વરે બે વિકેટ મેળવી હતી. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં પહોંચેલા ભૂવનેશ્વરે પત્રકારોના સવાલનો જવાબ આપતા કહ્યું કે, ટીમમાં વરિષ્ઠ ખેલાડી તરીકે તમે હંમેશા સારું પ્રદર્શન કરવા ઇચ્છો છો. જો તમે પ્રદર્શન પણ કરી શકો તો પણ તમારે પોતાનું યોગદાન આપવાનું રહે છે.
તેણે કહ્યું કે, જ્યારે નવદીપ અને ખલીલ જેવા બે યુવા ખેલાડીઓ સારું કરે છે તો તમે તેમની સાથે વાત કરવા ઇચ્છો છો. તમે તેમને સહજ બનાવવાં માગો છો. આ પહેલી વસ્તુ છે જે તમે કરવા માગો છો અને હું હંમેશા તેમનું માર્ગદર્શન કરતો રહીશ. ભૂવનેશ્વરે કહ્યું કે ભારતીય ટીમમાં જોડાતા પહેલા સૈનીએ ઇન્ડિયા-એ તરફથી વિન્ડીઝ-એ સામે સારું પ્રદર્શન કર્યું હતું.પરંતુ જ્યારે તમે આંતરરાષ્ટ્રીય સ્તર પર સારું પ્રદર્શન કરો છો તો તમારો આત્મવિશ્વાસ વધી જાય છે.