નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI), ડેક્કન ક્રોનિકલ્સ હોલ્ડિંગ્સ લિમિટેડ (DCHL) સાથેના વિવાદમાં એક આર્બિટ્રલ અથવામધ્યસ્થતા કોર્ટે DCHLની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ સાથે BCCIને DCHLને 4,800 કરોડ ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. આ આર્બિટ્રેશનનો નિર્ણય કંપનીની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ફ્રેન્ચાઇઝ ટીમને બરતરફ કરવાના કેસમાં આવ્યો છે.
ડીસીએચએલના એક વકીલે આ માહિતી આપી છે. આર્બિટ્રેટરે ફ્રેન્ચાઇઝને ગેરકાયદેસર રીતે બરતરફ કરવાનો નિર્ણય લીધો હતો. બીસીસીઆઈએ 2008 માં આઈપીએલ ટી 20 ક્રિકેટ ટૂર્નામેન્ટની રચના કરી હતી. તે સમયે ડીસીએચએલને ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ માટે એક સફળ બિડર જાહેર કરાયો હતો.
ડેક્કન ચાર્જર્સ અને બીસીસીઆઈ વચ્ચે દસ વર્ષિય કરાર પર હસ્તાક્ષર થયા હતા. વકીલે કહ્યું કે 11 ઓગસ્ટ, 2012 ના રોજ, બીસીસીઆઈએ ડીસીએચએલની ફ્રેન્ચાઇઝી રદ કરવા માટે કારણદર્શક નોટિસ આપી હતી. નોટિસનો જવાબ આપવા માટે 30 દિવસનો સમય પૂરો થયાના એક દિવસ પહેલા ફ્રેન્ચાઇઝી રદ કરવાની પુષ્ટિ થઈ હતી.