ટીમ ઈન્ડિયાનો મહત્વનો ઓલરાઉન્ડર ઈરફાન પઠાણની કારકિર્દી પર હવે પૂર્ણ વિરામ મૂકાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. 1 નવેમ્બરથી ત્રિપુરા વિરૂદ્ધ રિલાયન્સના મેદાન પર રમાનાર ચાર દિવસીય રણજી ટ્રોફી મેચ માટે બરોડાની ટીમમાંથી સીનિયર ખેલાડી ઈરફાન પઠાણની બાદબાકી કરી દેવામાં આવી છે. ઈરફાનની જગ્યાએ યુવા દિપક હુડ્ડાને કેપ્ટનસીની જવાબદારી આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર સિલેક્ટરોએ ઈરફાન પઠાણના નામ પર ચર્ચા વિચારણા કર્યા વગર જ ટીમમાંથી હકાલપટ્ટી કરી નાંખી હતી. સિલેક્ટરોએ તે માટે કોઈ મહત્વપૂર્ણ કારણ પણ જણઆવ્યું નહતું. પસંદગીકારોએ આટલા મોટા ફેરફાર વિશે જણાવતા કહ્યું હતું કે, બરોડા ટીમનું નવસર્જન કરવા માટેનો સમય આવી ગયો છે, જેના કારણે હવે યુવા ખેલાડીઓને વધારે તક આપવામાં આવશે. જેથી કરીને બરોડાની ભવિષ્યની યુવા ટીમ તૈયાર કરી શકાય. ઉલ્લેખનિય છે કે, ઈરફાન પાછલા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે, જેના કારણે પણ તેની હકાલપટ્ટી કરવામાં આવી હોઈ શકે છે. મધ્યપ્રદેશ સામે રમાયેલી પ્રથમ રણજી મેચમાં ઈરફાને પ્રથમ ઈનિંગમાં એક અને બીજી ઈનિંગમાં ચાર વિકેટ મેળવી હતી. તે ઉપરાંત 80 રન ફટકાર્યા હતા. આંધ્ર પ્રદેશ સામેની મેચમાં ઈરફાન પ્રથમ ઈનિંગમાં જીરો અને બીજી ઈનિંગમાં માત્ર 4 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે મેચમાં તે માત્ર એક વિકેટ ઝડપી શક્યો હતો.
ઇરફાન કુલ 29 ટેસ્ટ મેચ રમ્યો છે. જેમાં તેણે 3226 રન આપી 100 વિકેટો ઝડપી છે. તેણે 120 વન ડે મેચમાં 173 વિકેટો પોતાના નામે કરી છે છે. જ્યારે તે કુલ 24 ટી-20 મેચો રમ્યો છે. જેમાં તેણે માત્ર 28 વિકેટો લીધી હતી. તે ઉપરાંત ઘરેલૂ મેચોમાં પણ જોઈએ તેવો પ્રદર્શન કરી શક્યો નહતો. તેને 2017-18ની રણજી સિઝન માટે બરોડા ટીમનો કેપ્ટન બનાવાયો હતો. જોકે, ઈરફાનની કેપ્ટનસીમાં બરોડાની ટીમના પ્રદર્શનમાં કોઈ જ સુધારો આવ્યો નહતો.
બરોડા રણજી ટીમ
દીપક હુડા (કેપ્ટન), કેદાર દેવધર (વાઈસ સુકાની), વિરાજ ભોસલે(વિકેટકિપર), આદિત્ય વાઘમોડે, વિષ્ણુ કહાર, સ્વપ્નિલસિંઘ, મિતેશ પટેલ, અતિત શેઠ, રિશી અરોઠે, સાગર માંગલોરકર, અભિજીત કરમબેલકર, લુકમન મેરિવાલા, કેતુલ પટેલ, વિરાજ હલાઇ અને રુદ્રેશ વાઘેલા.