મુંબઇ : ભારતીય ટીમના બેટ્સમેન યુવરાજસિંહ ભલે ટીમમાં વાપસી કરવામાં નિષ્ફળ રહ્યો હોય પરંતુ BCCIએ તેની માગને પૂરી કરતા કરોડો રૂપિયાની ચુકવણી કરી દીધી છે. છેલ્લા કેટલાંક સમયથી બોર્ડના ચક્કર કાપી રહેલા યુવરાજને BCCIએ 3,11,29,411 રૂપિયાની ચુકવણી કરી દીધી છે. વર્ષ 2016માં ટી-20 વર્લ્ડ કપમાં રમતી વખતે યુવરાજસિંહ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો અને જેને કારણે તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પ્રથમ સાત મેચમાં ભાગ લઇ શક્યો નહોતો.
BCCIના નિયમ મુજબ જો કોઇ ખેલાડી ભારતીય ટીમ તરફથી રમતી વખતે ઇજાગ્રસ્ત થાય છે અને તેને કારણે જો તે IPLમાં ભાગ ન લઇ શકે તો તેની રકમ બોર્ડ ભરપાઇ કરી આપે છે. આ કારણોસર યુવરાજસિંહ છેલ્લા કેટલાંક સમયથી BCCIના ચક્કર લગાવી રહ્યો હતો. આ ઉપરાંત તેણે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમણૂક કરવામાં આવેલી સંચાલકોની સમિતિને પણ તેની ફરિયાદ કરી હતી. હાલમાં ટીમમાંથી બહાર રહેલો યુવરાજ પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે અને તેણે યો-યો ટેસ્ટ પણ પાસ કરી લીધો છે.