તમિલનાડુ પ્રીમિયર લીગ (ટીએનપીએલ) સામે મુશ્કેલીના વાદળ ઘેરાયા છે, કારણકે તેમાં રમતા ફર્સ્ટક્લાસના કેટલાક ક્રિકેટર અને કેટલાક કોચ સામે શંકાસ્પદ મેચ ફિક્સીંગને કારણે શંકાનો ગાળિયો ઘેરો બન્યો છે અને તેમની સામે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)નુ એન્ટી કરપ્શન યુનિટ (એસીયુ) તપાસ શરૂ કરે તેવી સંભાવના છે.
બીસીસીઆઇની એસીયૂના અધ્યક્ષ અજિત સિંહે જો કે આ શંકાસ્પદ ફિક્સીંગમાં કોઇ ઇન્ટરનેશનલ ખેલાડી સામેલ હોવાની સંભાવના નકારી કાઢી છે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને 2-16માં ટીએનપીએલની શરૂઆત કરી હતી અને તેમાં કુલ 8 ફ્રેન્ચાઇઝી ભાગ લે છે. હાલમાં જે ફિક્સીંગનું ભૂત ધુણ્યું છે તેમાં કોઇ ખેલાડી કે કોચનુ નામમ જાહેર કરાયું નથી. જો કે મેચ ફિક્સીંગના આ આરોપ ટીએનપીએલની એક ફ્રેન્ચાઇઝી સાથે જોડાયા છે, જે છેલ્લા કેટલાક વર્ષોંમાં આ મામલે બદનામ બની છે.
અજિતે જણાવ્યું હતું કે કેટલાક ખેલાડીઓને અજાણ્યા લોકો તરફથી વોટ્સએપ મેસેજ મળ્યા હતા. અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે એ અજાણ્યા લોકો કોણ છે. અમે ખેલાડીઓના નિવેદન નોંધી લીધા છે અને અમે એ મેસેજ મોકલનારાનો પત્તો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ટીએનપીએલની 8 ટીમોમાં સૌથી નીચેની 3 ટીમમાં આ ફ્રેન્ચાઇઝી સામેલ : બીસીસીઆઇ અધિકારી
તમિલનાડુ પ્રીમિયર લીગ (ટીએનપીએલ)માં ફિક્સીંગની શંકાને પગલે 8 ફ્રેન્ચાઇઝી ટીમમાંથી એક સામે શંકાની આંગળી ચીંધાઇ રહી છે. બીસીસીઆઇના એક સૂત્રએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે આ ફ્રેન્ચાઇઝી 8માંથી સૌથી તળીયાની 3 ટીમમાં સામેલ છે અને તેની માલિકી પણ શંકાસ્પદ જ છે. તેમણે જે ખેલાડી અને કોચની પસંદગી કરી છે તે પણ ઉચ્ચ સ્તરના નથી. આ અજાણ્યા કોચની ભૂમિકા પણ તપાસના ઘેરામાં આવી શકે છે.