ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની ચૂંટણી 22મી ઓક્ટોબરે થશે. આ અંગેની માહિતી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વહીવટદારોની સમિતિ (સીઓએ) દ્વારા મંગળવારે આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની દખલગીરી પછી બીસીસીઆઇના વહીવટ પર સીઓએ ધ્યાન રાખે છે અને તેના અધ્યક્ષ વિનોદ રાય છે. આ ઉપરાંત તેમાં ડાયેના એદલજી અને લેફ્ટનન્ટ જનરલ રવિ થોજ સભ્ય તરીકે સામેલ છે.
આ પહેલા તાજેતરમાં જ સીઓએ અધ્યક્ષ વિનોદ રાયે એવા સંકેત આપ્યા હતા કે આગમી 90 દિવસમાં બીસીસીઆઇની ચૂંટણી કરાવી લેવાશે. આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે જેવી નવી બોડી વહીવટ સંભાળી લેશે કે તરત જ સીઓએ વહીવટમાંથી હટી જશે. અમે એવું જ કામ કરીશું જે રીતે જસ્ટિસ વિક્રમજીત સેને ડીડીસીએ માટે કર્યું હતું. રાયે કહ્યું હતું કે બીસીસીઆઇની કાર્યવાહી અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શકતા લાવવાનો અમે પુરો પ્રયાસ કર્યો હતો.