દિલ્લી : ભારતીય ક્રિકેટરો માટે સારા સમાચાર આવી રહ્યા છે. કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેશન (CoA) ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓના પગારમાં વધારો કરવાની મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં કેપ્ટન વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની સાથેની ચર્ચા પછી આ નિર્ણય લેવાયો છે. ચર્ચામાં ખેલાડીઓ વતિ પગારમાં વધારો કરવાનો મુદ્દો ઉઠાવવામા આવ્યો હતો. વિરાટ કોહલીએ પણ અગાઉ ખેલાડીઓના પગારમાં વધારો કરવાની માગણી કરી હતી.
બેઠકમાં ભારતીય ક્રિકેટ ટીમ 2018મા ઈગ્લેન્ડના પ્રવાસ માટે બે અઠવાડિયા અગાઉ રવાના થશે તેમ નક્કી થયું હતું. મીડિયા અહેવાલ પ્રમાણે બેઠકમાં ખેલાડીઓ વતિ આઈપીએલના પ્રસારણમાંથી થતી કમાણીમાંથી પણ ભાગ આપવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ સાથે વેતનમાં સન્માનજનક વધારો કરવાની પણ રજૂઆત કરાઈ હતી.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સીઓએએ ખેલાડીઓને વેતન માળખામાં ફેરફાર કરવાનું સુચન કર્યું છે. બીસીસીઆઈએ ગયા વર્ષે જ ખેલાડીઓના પગારમાં બે ગણો વધારો કર્યો હતો. આ વેતન વધારા મુજબ ગ્રેડ એના ખેલાડીઓનો પગાર એક કરોડથી વધારી બે કરોડ કરાયો હતો. આ જ પ્રમાણે અન્ય બે ગ્રેડના ખેલાડીઓને વેતનમાં પણ બે ગણો વધારો કરાયો હતો.
બીસીસીઆઈએ આઈપીએલના પ્રસારણ અધિકારનું રૂ. 16,000 કરોડમાં વેચાણ કર્યું છે. ક્રિકેટરો તેમાંથી પણ ભાગ માગી રહ્યા છે.