બીસીસીઆઇની એન્ટી કરપ્શન યૂનિટના અધ્યક્ષ અજિત સિંહ શેખાવતે ભારતીય ક્રિકેટમાં ભ્રષ્ટાચારની સમસ્યાના નિરાકરણ માટે ચોરને કહે ચોરી કર અને ચોકીદારને કહે જાગતો રહે તેવું સૂચન કર્યું છે. મંગળવારે તેમણે મેચ ફિક્સીંગ સંબંઘે નિયમ બનાવવાની વાત કરીને સટ્ટાને કાયદેસર કરવાની વકીલાત કરી હતી. શેખાવત એપ્રિલ 2018માં બીસીસીઆઇના એન્ટી કરપ્શન યૂનિટ સાથે જોડાયા તે પહેલા રાજસ્થાન પોલીસના ડીજીપી રહી ચુક્યા છે. છેલ્લા એક વર્ષમાં નેશનલ તેમજ ઇન્ટરનેશનલ ક્રિકેટરો સહિતના કુલ 12 ક્રિકેટરો સાથે ભ્રષ્ટ સંપર્ક કરવાની ફરિયાદ અને તમિલનાડુ પ્રીમિયર લીગમાં શંકાસ્પદ ગતિવિધિને કારણે ફિકંસીગની શંકા અને એક મહિલા ક્રિકેટરનો સટોડિયા દ્વારા કરાયેલા સંપર્કની ફરિયાદને પગલે શેખાવતે આ સૂચન કર્યું છે.
આ વર્ષે મુંબઇ, કર્ણાટક અને તમિલનાડુની લીગમાંથી સામે આવેલા કિસ્સાઓને જોતા શું દેશમાં મેચ ફિક્સીંગ કે સ્પોટ ફિક્સીંગને અટકાવવું શું મુશ્કેલ બન્યું છે? એવા સવાલના જવાબમાં શેખાવતે જણાવ્યું હતું કે તેને રોકવું અસંભવ તો નથી. પણ તેના માટે સંભવત એક કાયદાની જરૂર છે. મેચ ફિક્સીંગ કાયદો. જો તેની સામે એક સ્પષ્ટ કાયદો હશે તો પોલીસની ભૂમિકા પણ સ્પષ્ટ થશે. છેલ્લા એક વર્ષમાં ભારતીય કાયદા પંચે મેચ ફિક્સીંગને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની જેમ ગુનાઇત ગતિવિધિ બનાવવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. શેખાવતે સાથે જ એવું કહ્યું હતું કે રમતમાં ભ્રષ્ટાચારના ખાતમા માટેની એક અન્ય પદ્ધતિ સટ્ટાને કાયદેસર બનાવવાની છે.
શેખાવતે કહ્યું હતું કે સટ્ટાને કાયદેસર કરવાનો વિચાર થઇ શકે છે. તેનાથી જે પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે તે તમામને અંકુશિત કરી શકાશે. કાયદેસરનો સટ્ટો કેટલાક માપદંડ હેઠળ થાય છે અને તેને અંકુશમાં રાખી શકાય છે. ભારતીય પોલીસના આ નિવૃત્ત અધિકારીએ કહ્યું હતું કે સરકારને એટલી જ મોટી રકમ તેમાંથી મહેસુલ તરીકે મળશે જેટલી આબદારી વિભાગ મેળવે છે. રમતના સટ્ટામાં જે રકમ લાગે છે તે ઘણી મોટી હોય છે એવું તેમણે કહ્યું હતું.