બીસીસીઆઇ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ સહિતના સપોર્ટ સ્ટાફ સંબંધે ટૂંકમાં જ અરજી મગાવી શકે છે. વેસ્ટઇન્ડિઝ સામેના આવતા મહિનાના પ્રવાસ પછી સપોર્ટ સ્ટાફનો કરાર પુરો થતો હોવાથી રવિ શાસ્ત્રી સહિતના સપોર્ટ સ્ટાફે તેના માટે ફરીથી અરજી કરવી પડશે.
ટીમના સપોર્ટ સ્ટાફમાં રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, બેટિંગ કોચ સંજય બાંગર અને ફિલ્ડીંગ કોચ આર શ્રીધરનો સમાવેશ થાય છે. 3 અોગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધીના વેસ્ટઇન્ડિઝ પ્રવાસને કારણે તેમનો કાર્યકાળ 45 દિવસ લંબાવાયો છે. આ તમામ ઇચ્છે તો નવેસરથી અરજી કરી શકે છે. જો કે ટીમને નવા ટ્રેનર અને ફિઝિયો મળશે ઍ નક્કી છે. કારણકે ટીમના ટ્રેનર શંકર બસુ અને ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ સેમી ફાઇનલમાં ટીમના પરાજય પછી પોતાનું પદ છોડી દીધું છે. વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પછી ભારતીય ટીમે ઘરઆંગણે 15 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે રમવાનું છે.
બીસીસીઆઇના અધિકારીઍ કહ્યું હતું કે અમારી વેબસાઇટ પર ઍકાદ બે દિવસમાં આ પદો માટેની અરજી મગાવાશે. સહયોગી સ્ટાફ ઉપરાંત મેનેજર પદ માટે પણ અરજી મગાવાશે.