વર્લ્ડ કપમાં ભારતીય ટીમને વધુ એકવાર ઇજાને કારણે ફટકો પડ્યો છે. શિખર ધવનને હાથમાં ઇજા થયા પછી હવે ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર પગની ઇજાને કારણે વર્લ્ડ કપની આગામી 2-3 મેચમાંથી આઉટ થઇ ગયો છે. ભુવનેશ્વરને રવિવારે પાકિસ્તાન સામેની મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે ડાબો પગનો સ્નાયુ ખેંચાઇ ગયો હતો અને તે પોતાની ઓવર અધુરી મુકીને મેદાન બહાર થયો હતો. હવે આગામી મેચોમાં તેના સ્થાને ભારતીય ટીમમાં મહંમદ શમીનો સમાવેશ થઇ શકે છે. આ વાતની પુષ્ટિ ખુદ કેપ્ટન વિરાટ કોહલીએ કરી હતી.
મેચ પછી વિરાટ કોહલીએ ભુવીની ઇજા બાબતે વાત કરતાં કહ્યું હતું કે ભુવનેશ્વરના ડાબો પગ ખેંચાઇ ગયો છે. બોલિંગ દરમિયાન પગ લપસી જવાને કારણે તેને આ ઇજા થઇ છે. બની શકે છે કે તે આગામી 2-3 મેચમાં રમી શકે તેમ નથી. પણ જેવો તે ફિટ થશે કે તરત જ તે ટીમમાં પાછો ફરશે, તે અમારા માટે ઘણો મહત્વપૂર્ણ છે. તેણે સાથે જ જણાવ્યું હતું કે તેની ગેરહાજરીમાં શમી ટીમનો હિસ્સો બનશે.
ભારતીય ટીમે આગામી ત્રણ મેચમાં 22 જૂને અફઘાનિસ્તાન સાથે, 27 જૂને વેસ્ટ ઇન્ડિઝ સામે તેમજ 30 જૂને ઇંગ્લેન્ડ સામે રમવાનું છે. પાકિસ્તાન સામેની મેચમાં પગ ખેંચાઇ ગયો ત્યારે ભુવનેશ્વર પોતાની ત્રીજી ઓવરનો ચોથો બોલ ફેંકી ચુક્યો હતો. તે પછી તે મેદાન છોડીને ગયો અને તેના સ્થાને ફિલ્ડીંગ કરવા માટે રવિન્દ્ર જાડેજા આવ્યો હતો.