ભારતીય ટીમના માજી ઝડપી બોલર ચેતન શર્માનું એવું માનવું છે કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઘરઆંગણે રમાનારી ટેસ્ટ સિરીઝમાંથી જસપ્રીત બુમરાહને આરામ આપવો જોઇએ. બુમરાહે અત્યાર સુધીમાં 12 ટેસ્ટ રમીને 62 વિકેટ ઉપાડી છે અને તેણે આ તમામ ટેસ્ટ વિદેશમાં રમી છે. ચેતન શર્માએ એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મને લાગે છે કે બુમરાહે ભારતમાં રમાનારી ટેસ્ટ મેચમાં આરામ આપવો જોઇએ. આપણે તેની વિશેષ પ્રતિભાને બરબાદ ન કરી નાંખવી જોઇએ. તે હાલમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર છે. આપણે તેને આ પ્રકારની પરિસ્થિતિમાં અજમાવવો ન જોઇએ.
ચેતન શર્માએ કહ્યું હતું કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચાલી રહી છે અને બુમરાહ ભારતની વ્યુહરચનાનો મહત્વનો હિસ્સો છે અને એ વાતને પુરવાર કરવાની કોઇ જરૂર નથી કે બુમરાહ ભારતમાં પણ વિકેટ લઇ શકે છે. અંતે તો આપણાને જીત જોઇએ છે અને પોઇન્ટ મેળવવાના છે. તો ભારતમાં તેનો બને તેટલો ઓછો ઉપયોગ થાય તો વાંધો નથી. આજે આપણી પાસે મહંમદ શમી, ભુવનેશ્વર કુમાર, ઇશાંત શર્મા અને નવદીપ સૈની જેવા બોલરો છે ત્યારે બુમરાહ પર દબાણ ઊભું કરવાનો મતલબ નથી એવું કહીને તેણે ઉમેર્યું હતું કે બુમરાહને ત્યારે જ બોલાવવો જોઇએ જ્યારે તેની ખુબ જ જરૂર હોય.