સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટર અવી બારોટનું ગઈ કાલે રાત્રે હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું. અવિના મૃત્યુના સમાચાર ફેલાતા જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શોક છવાઈ ગયો હતો. તે માત્ર 29 વર્ષનો હતો. અવી બારોટ સારો બેટ્સમેન અને વિકેટકીપર હતો. તેણે બે દિવસ પહેલા રણજી ટ્રોફીમાં ગુજરાત સામે 45 બોલમાં 72 રન બનાવ્યા હતા. આ વર્ષે તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં 38 બોલમાં 122 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને અવિ બારોટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એસસીએના પ્રમુખ જયદેવ શાહે અવિ બારોટને શ્રદ્ધાંજલિ આપી છે.
સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું
અમદાવાદમાં રહેતા અવી બારોટ સૌરાષ્ટ્ર માટે ક્રિકેટ રમતા હતા. તેમના નિધનની જાણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને કરવામાં આવી હતી. ભારતના પૂર્વ અંડર -19 કેપ્ટન અવી બારોટ પણ સૌરાષ્ટ્રની વિજેતા ટીમનો ભાગ હતા, જેણે 2019-20માં રણજી ટ્રોફી જીતી હતી. આ સિવાય તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
અવી બારોટ જમણા હાથનો વિકેટકીપર બેટ્સમેન હતો. કેટલીકવાર તે બોલિંગ પણ કરતો હતો. તેણે પોતાની કારકિર્દીમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી. બારોટે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં એક સદી અને નવ અડધી સદીની મદદથી 1547 રન બનાવ્યા હતા. જ્યારે લિસ્ટ A મેચમાં 8 અડધી સદીની મદદથી 1030 રન બનાવ્યા હતા. બારોટ ટી 20 ક્રિકેટનો વિસ્ફોટક ખેલાડી હતો. તેણે સ્થાનિક ટી -20 માં એક સદી અને પાંચ અડધી સદીની મદદથી 717 રન બનાવ્યા હતા. ટી -20 માં તેનો સ્ટ્રાઇક રેટ 146 હતો અને સરેરાશ 38 ની આસપાસ હતો.
જ્યારે સૌરાષ્ટ્રએ 2019-20 સિઝનમાં બંગાળને હરાવીને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો, ત્યારે અવી બારોટ તેનો એક ભાગ હતો. આ સિવાય બારોટે બે વખત રણજી ટ્રોફીની ફાઇનલ પણ રમી છે. સૌરાષ્ટ્રને 2015-16માં મુંબઈ અને 2018-19માં ફાઇનલમાં વિદર્ભને હરાવ્યું હતું. બંને વખત અવી આ ટીમનો ભાગ હતો.