હૈદરાબાદ : ચેન્નઇ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે આઇપીએલની હાલ પુરી થયેલી સિઝનમાં બેટિંગમાં ખરાબ પ્રદર્શન પછી આધેડ થઇ રહેલી ટીમમાં ફેરફારની જરૂર હોવાની વાત સ્વીકારી હતી. ચેન્નઇની કોર ટીમની સરેરાશ ઉમંર 34 વર્ષની છે. આ ટીમે ગત વર્ષે ટાઇટલ જીત્યું હતું અને આ વર્ષે ફાઇનલમાં હારી ગઇ હતી.ફ્લેમિંગ અને કેપ્ટન મહેન્દ્ર સિહ ધોનીએ બેટિંગમાં સારા પ્રદર્શનની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.
કોચ ફ્લેમિંગે કહ્યું હતું કે જો તમે એક વર્ષ જીતો અને બીજા વર્ષે ફાઇનલ રમો તો પ્રદર્શન સારું કહેવાય. અમે માનીએ છીએ કે આ એક આધેડોની ટીમ છે. અમારે નવેસરથી ટીમ તૈયાર કરવા માટે વિચારવું પડશે. તેમણે કહ્યું હતું કે આગલી સિઝન માટેની વ્યુહરચના અમે વર્લ્ડ કપ પછી તૈયાર કરીશું.તેમણે કહ્યું હતું કે ધોની વર્લ્ડ કપ રમવા માટે જશે.
ફ્લેમિંગે એવું પણ કહ્યું હતું કે આઇપીએલની અન્ય ટીમો પાસે ઘણાં પ્રતિભાશાળી ખેલાડીઓ છે. અમારે સંભાળીને નવેસરથી ટીમ તૈયાર કરીને યોગ્ય સંયોજન શોધવું પડશે.તેણે કહ્યું હતું કે ચેન્નઇ સુપર કિંગ્સ માટે આ વર્ષ આકરું રહ્યું છે, અમારા બેટ્સમેનો અપેક્ષાઓની કસોટીએ યોગ્ય નથી પુરવાર થયા. તેમની પાસે સારા પ્રદર્શનની આશા હતી. તેમણે કહ્યું હતું કે બેટિંગમાં અમે સારું પ્રદર્શન ન કરી શક્યા પણ પ્રયાસોમાં કોઇ ખોટ નહોતી.