નવી દિલ્હી : દિલ્હીની કોર્ટે મેચ ફિક્સિંગ કેસમાં આરોપી સંજીવ ચાવલાને જામીન આપી દીધા છે. જો કે, જામીન સાથે અદાલતે એક શરત મૂકી છે કે પરવાનગી વિના તેઓ દેશની બહાર નહીં જઇ શકે. 2000 માં ક્રિકેટર હેન્સી ક્રોનીએ સાથે જોડાયેલા મેચ ફિક્સિંગના એક કેસમાં મુખ્ય આરોપી બુકી સંજીવ ચાવલાને ફેબ્રુઆરીમાં જ ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે તેની સામે 2013 માં ચાર્જશીટ દાખલ કરી હતી. 2000 માં મેચ ફિક્સિંગનો મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસે કુલ 6 આરોપી બનાવ્યા હતા.
વિશેષ ન્યાયાધીશ આશુતોષ કુમારે ચાવલાને બે લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને તે જ રકમની બે બાંયધરી આપી રાહત આપી હતી. કોર્ટે કહ્યું કે આરોપી છેલ્લા 76 દિવસથી કસ્ટડીમાં છે અને આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. જો કે, કોર્ટે ચાવલાને આ કેસમાં તપાસ અધિકારીને તેના અવાજ અને હસ્તાક્ષરનો નમૂના આપવાનો નિર્દેશ આપ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર સંજીવ ચાવલા પાંચ મેચ ફિક્સ કરવામાં સામેલ છે. પોલીસે કોર્ટને કહ્યું હતું કે આ કેસમાં ક્રોંનીએ પણ સામેલ છે. 2002 માં વિમાન દુર્ઘટનામાં ક્રોનીએનું મોત નીપજ્યું હતું. એવો આરોપ છે કે ચાવલાએ ફેબ્રુઆરી-માર્ચ, 2000 માં દક્ષિણ આફ્રિકાની ટીમના ભારત પ્રવાસની મેચોને ફિક્સ કરવા માટે ક્રોનીએ સાથે કાવતરું કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ હર્ષેલ ગિબ્સ અને નિકી બોને ફિક્સિંગમાં સામેલ થવા માટેના પૂરતા પુરાવા મળ્યા ન હોવાથી તેનું નામ ચાર્જશીટ પરથી હટાવવામાં આવ્યું હતું. આ સંદર્ભે, દિલ્હી પોલીસે 2013 માં ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં હંસી ક્રોંનીએ, બુકી સંજીવ ચાવલા, મનમોહન ખટ્ટર, દિલ્હીના રાજેશ કાલરા અને સુનિલ દારા સહીત ટી સીરીઝના માલિકના ભાઈ કૃષ્ણ કુમારને આરોપી બનાવવામાં આવ્યા હતા.