દિલ્લી : ભૂતપૂર્વ ઝડપી બોલર ટીકાઓનું કેન્દ્ર બનેલા ધોનીનો બચાવ કર્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની પોતાના કંગાળ ફોર્મને લઈને હાલમાં ટીકાઓનું કેન્દ્ર બની ગયો છે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઝડપી બોલર આશિષ નહેરાનું કહેવું છે કે ધોની હજી 2020ના ટી20 વર્લ્ડ કપમાં રમી શકે તેમ છે.
ધોનીના કંગાળ ફોર્મના કારણે અજીત અગરકર અને વીવીએસ લક્ષ્મણે કહ્યું હતું કે ભારતીય ટીમે ટી20 માટે હવે ધોનીનો વિકલ્પ શોધવો જોઈએ અને ભૂતપૂર્વ સુકાનીએ પણ નિવૃત્તિ લઈને યુવાન ખેલાડીઓને માટે રસ્તો કરવો જોઈએ.
ધોનીએ રાજકોટમાં રમાયેલી બીજી ટી20માં 37 બોલમાં 49 રન નોંધાવ્યા હતા અને તેની ધીમી બેટિંગના કારણે તેની ટીકા થઈ હતી. જોકે, નહેરા ધોનીના બચાવમાં આગળ આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે ધોની જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી તેને રમવાની તક આપવી જોઈએ. 39 વર્ષીય નહેરાએ કહ્યું હતું કે જો હું કોચ કે કેપ્ટન હોત તો ધોનીને વધુ ત્રણ-ચાર વર્ષ રમવાની તક આપી હોત.
તેણે કહ્યું હતું કે પ્રત્યે ઘરમાં તમે એક વડીલની હાજરી ઈચ્છો છો અને ટીમમાં ધોનીનું સ્થાન તેવું જ છે. મને આશા છે કે ભૂતપૂર્વ સુકાની હજી બીજા બે-ત્રણ વર્ષ રમી શકે છે. ક્રિકેટ પરિસ્થિતિની રમત છે અને તેમાં હંમેશા સારૂ પ્રદર્શન કરવું સરળ નથી. જો હું કોચ કે કેપ્ટન હોત તો હું ચોક્કસથી તેને ટીમમાં રાખું. હું એમ નથી કહેતો કે તે સારૂ પ્રદર્શન ન કરે છતાં તેને ટીમમાં રાખવો જોઈએ. પરંતુ ધોની એક એવો વ્યક્તિ છે કે તેને જ્યારે લાગશે કે તે ટીમમાં યોગદાન આપી શકે તેમ નથી ત્યારે તે સામેથી જ નિવૃત્તિ લઈ લેશે.
હું ઈચ્છું છું કે ધોની 2020માં રમાનાર ટી20 વર્લ્ડ કપમાં રમી શકે છે. એક ઝડપી બોલર હોવા છતાં હું 39 વર્ષની વય સુધી રમી શકું છું તો ધોની અને તેની ફિટનેસ જોતા તે વધુ બે-ત્રણ વર્ષ રમી શકે છે, તેમ નહેરાએ જણાવ્યું હતું.