આઇસીસી વર્લ્ડ કપ 2019ની જ્યારે શરૂઆત થઇ હતી ત્યારે યજમાન ઇંગ્લેન્ડે સૌથી પ્રબળ દાવેદાર તરીકે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી, અને તેનું એ અભિયાન યોગ્ય માર્ગે ચાલતું જ હતું પણ શુક્રવારે શ્રીલંકાએ તેને હરાવ્યું તેની સાથે જ અંતિમ 4માં જવાનું તેનું સમીકરણ બગડી ગયું છે. હવે તેણે ત્રણ મેચ રમવાની છે અને ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યુઝીલેન્ડ સામે રમાનારી આ ત્રણ મેચમાંથી તેણે બે મેચ જીતવી જરૂરી છે જો એમ નહીં થાય તો તેની સામે સમસ્યા ઊભી થઇ શકશે.
જો ઇંગ્લેન્ડની આ ત્રણેય ટીમ સામેના ઇતિહાસ પર નજર નાંખવામાં આવે તો તો તેના માટે ચિંતાના વાદળો ઘેરાયેલા નજરે પડી રહ્યા છે. ટિ્વટર પર જાણીતા આંકડાશાસ્ત્રી મજહર અર્શદે લખ્યું છે કે ઇંગ્લેન્ડ વર્લ્ડ કપના 27 વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યુઝીલેન્ડને હરાવી શક્યું નથી. 1992થી લઇને ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ભારત સામે સતત 10 મેચ ગુમાવી છે અને વર્લ્ડ કપમાં આગામી ત્રણેય મેચ તેણે આ ત્રણ સામે જ રમવાની છે.
વર્લ્ડ કપ શરૂ થવા પહેલા સૌથી પ્રબળ દાવેદાર મનાતી ઇંગ્લેન્ડ માટે હવે સ્થિતિ એવી છે કે તેણે અંતિમ 4માં સ્થાન મેળવવા માટે ત્રણમાંથી બે મેચ જીતવી પડશે. ઇંગ્લેન્ડની હવે પછીની મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. મોર્ગને શ્રીલંકા સામેના પરાજય પછી કહ્યું હતું કે આ એવી ટુર્નામેન્ટ છે જ્યાં તમારે તાલમેલ બેસાડવાની સાથે બાજી પલટાવવાની જરૂર છે. સ્પષ્ટ વાત છે કે એક ટીમ તરીકે અમારે મજબૂતાઇથી વાપસી કરવાની જરૂર છે.