વેસ્ટઇન્ડિઝસના પ્રવાસે ગયેલી ભારતઃએ ટીમે પાંચમી અને અંતિમ બિન સત્તાવાર વન ડેમાં ઋતુરાજ ગાયકવાડની 99 અને શુભમન ગીલની 69 રનની જોરદાર ઇનિંગની મદદથી 8 વિકેટે વિજય મેળવીને પાંચ મેચની સિરીઝમાં 4-1થી વિજય મેળવ્યો હતો. વેસ્ટઇન્ડિઝ-એ ટીમ પહેલા દાવ લઇને 47.4 ઓવરમાં 236 રનમા ઓલઆઉટ થઇ હતી. ભારતીય ટીમે 237 રનનો લક્ષ્યાંક 102 બોલ બાકી રાખીને બે વિકેટ ગુમાવીને કબજે કરી લીધો હતો.
ભારતઃએ ટીમે આ પહેલા પાંચ મેચની સિરીઝની પહેલી 3 મેચમાં વિજય મેળવીને અજેય સરસાઇ મેળવી લીધી હતી અને તે પછી ચોથી મેચમાં વેસ્ટઇન્ડિઝ-એ ટીમે 5 વિકેટે વિજય મેળવીને સિરીઝનો એકમાત્ર વિજય મેળવ્યો હતો. પાંચમી મેચમાં ટોસ જીતીને દાવ લેનારી વેસ્ટઇન્ડિઝ-એ ટીમને સુનિલ અંબરીશે 61 અને કર્ઝન ઓટલે 21 રન કરવા સાથએ 77 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. જો કે 15મી ઓવર સુધીમાં બંને ઓપનર આઉટ થયા તે પછી વિન્ડીઝ ઇનિંગ લથડી પડી હતી.
એક સમયે યજમાન ટીમે 124 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી, જો કે તે પછી શેન રધરફોર્ડે 65 રનની ઇનિંગ રમવાની સાથે નોટઆઉટ 35 રન કરનારા ખેરી પિયરે સાથે મળીને સ્કોરને 200 પાર પહોંચાડ્યો હતો. ભારત-એ વતી દીપક ચાહર, નવદીપ સૈની અને રાહુલ ચાહરે 2-2 જ્યારે ખલીલ અહેમદ, કૃણાલ પંડ્યા અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.
237 રનના લક્ષ્યાંક સામે ઋતુરાજ અને શુભમનની જોડીએ ભારતીય ટીમને ઝડપી શરૂઆત અપાવીને 11.4 ઓવરમાં 110 રનની ભાગીદારી કરી હતી. શુભમન 69 રન કરીને આઉટ થયો તે પછી શ્રેયસ અય્યરે નોટઆઉટ 61 રનની ઇનિંગ રમીને બીજી વિકેટની 112 રનની ભાગીદારી કરી હતી. ઋતુરાજ 89 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 99 રન કરીને આઉટ થયો હત અને તે પછી શ્રેયસ સાથે જોડાયેલા મનિષ પાંડેએ ટીમને વધુ નુકસાન થવા દીધા વગર જીતાડી હતી.