ધર્મશાળા : ભારત અને શ્રીલંકા વચ્ચે વન ડે શ્રેણીની પહેલી મેચનો ટીમ ઇન્ડિયામાં ધબડકો થયો હતો. જોકે સંકટ મોચન બનેલા ધોનીએ ટીમ ઇન્ડિયાને ઉગારી હતી અને 16 રને 5 વિકેટ પડ્યા બાદ ધોનીએ શાનદાર પ્રદર્શન કરતા ટીમને 112 રન સુધી પહોચાડી હતી અને સન્માનજનક સ્કોર સુધી પહોચાડી હતી. ભારતીય કપ્તાન રોહિત શર્મા ટોસ હારી ગયો હતો અને શ્રીંલકાના કપ્તાન થિસારા પરેરાએ ભારતને પહેલા બેટિંગ માટે મેદાનમાં ઉતાર્યું હતું.
ભારતીય ઓપનર શિખર ધવન પ્રથમ ઓવરમાં જ અંતિમ બોલે મેથ્યૂઝનો શિકાર બન્યો હતો અને વગર ખાતું ખોલે પેવેલિયન પરત ફર્યો. રોહિત શર્મા 2 રનમાં સુરંગા લકમલનો શિકાર બન્યો હતો. 18 બોલ રમ્યા બાદ એક પણ રન કર્યા વગર દિનેશ કાર્તિક લકમલનો બીજો શિકાર બની પેવેલિયન ભેગો થઇ ગયો હતો. એટલું જ નહીં લાંબા સમય બાદ ટીમ ઇન્ડિયામાં પાછા ફરેલ મીનષ પાંડે પણ 15 બોલ પર અંદાજે 2 રન બનાવીને લકમલનો શિકાર બન્યો. તે પછીની ઓવરમાં જ શ્રેયસ અય્યર નુવાન પ્રદીપના બોલ પર આઉટ થયો હતો. ધોનીની સાથે વિકેટ પર જમાવાની કોશિષમાં હાર્દિક પંડ્યા પણ 10 રન બનાવીને પેવેલિયન ભેગો થઇ ગયો. પંડ્યાને નુવાન પ્રદીપના બોલ પર મેથ્યુઝે કેચ આઉટ કર્યો. ત્યારબાદ ભુવનેશ્વર કુમાર પણ શૂન્ય પર જ આઉટ થઇ ગયો.
શ્રીલંકા વિરૂદ્ધ વન ડે અને T20 શ્રેણી માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. વિરાટના સ્થાને રોહિત શર્માને ટીમ ઈન્ડિયાનું સુકાન સોંપવામાં આવ્યું છે. આમ ભારત અને શ્રીલંકન ટીમના બંને કપ્તાન સૌપ્રથમવાર ટીમની કપ્તાની કરી રહ્યાં છે.