કોલકાતા: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો કરવામાં આવી હતી. ટેસ્ટ મેચના પાંચમા દિવસે ભારતને જીતવા માટે 3 વિકેટની જરૂર હતી. પરંતુ ઓછા પ્રકાશના કારણે વહેલી બંધ કરવામાં આવી હતી. ભારત તરફથી પ્રથમ ટેસ્ટમાં બન્ને ઈનિંગમાં ભુવનેશ્વર કુમારે 8 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાને જીતવા 231 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. પરંતુ શ્રીલંકાની ટીમ બીજી ઈનિંગમાં 7 વિકેટે 75 રન જ બનાવી શકી હતી. શ્રીલંકા સામેની બીજી ઈનિંગમાં ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. જ્યારે શમીએ 2 અને યાદવે 1 વિકેટ ઝડપી હતી. ભારતીય બોલર સામે શ્રીલંકાનો એક પણ બેટ્સમેન ટકી શક્યો નહોતો.
પાંચમા દિવસે ભારતે બીજી ઇનિંગમાં 8 વિકેટે 352 રને ઇનિંગ ડિકલેર કરી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ કારકિર્દીની 18મી ટેસ્ટ સદી ફટકારી હતી, વિરાટે અણનમ 104 રન બનાવ્યા હતા. આ પહેલા શ્રીલંકાએ પ્રથમ ઇનિંગમાં 294 રન બનાવી 122 રનની લીડ મેળવી હતી. જ્યારે ભારતે પ્રથમ ઇનિંગમાં 172 રન બનાવ્યા હતા.
ભારતની પ્રથમ ઇનિંગ્સ 172 રનની સામે શ્રીલંકાએ 294 રન બનાવ્યા હતા. આમ ભારત પર 122 રનની મહત્વની લીડ મેળવી હતી. ભારતે બીજી ઇનિંગ્સમાં આઠ વિકેટના નુકસાન પર 352 રન બનાવ્યા હતા.ગઈ કાલે ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતનો સ્કોર બે વિકેટે 171 રન હતો. રાહુલ 73 રને અને પૂજારા 2 રને અણનમ રહ્યા હતા. આ બંને અણનમ બેટ્સમેનોએ આજે સવારે ભારતનો દાવ આગળ ધપાવ્યો હતો.
ટીમનો સ્કોર જ્યારે 192 રને પહોંચ્યો ત્યારે લકમલની બોલિંગમાં રાહુલ 125 બોલમાં આઠ ચોગ્ગા સાથે 79 રન બનાવીને બોલ્ડ આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ પૂજારા અને વિરાટે ભારતનો સ્કોર 213 રન સુધી પહોંચાડ્યો ત્યારે ફરી એક વાર લકમલ ત્રાટક્યો હતો અને તેણે પૂજારાને 22 રનના અંગત સ્કોર પર પરેરાના હાથમાં ઝિલાવી દીધો હતો.