આઇસીસી વર્લ્ડ કપ 2019મા અત્યાર સુધી અજેય રહેલી ટીમ ઇન્ડિયા રવિવારે ઇગ્લેન્ડ સામેની મેચમાં જ્યારે ઉતરશે ત્યારે તેઓ એક નવી ટી શર્ટ પહેરીને મેદાનમાં ઉતરશે, આ ટી શર્ટના રંગ મામલે વિવાદ પણ સર્જાયો છે. ટીમ ઇન્ડિયાની મુળ ટી-શર્ટના રંગની સાથે કેસરી રંગને જોડવામાં આવ્યો છે, મુળે કેસરી રંગ ટીમ ઇન્ડિયાની ટી-20 માટેની ટી શર્ટમાં છે જ, માત્ર આ ટી શર્ટમાં તેમા થોડો વધારો કરવામાં આવ્યો છે.
ટીમ ઇન્ડિયાના ડ્રેસનો રંગ ઇંગ્લેન્ડની ટીમ સાથે મળતો હોવાથી દર્શકોમાં કોઇ ભ્રમણા ન ફેલાય તેથી આઇસીસી દ્વારા વર્લ્ડ કપમાં તમામ ટીમો માટે યજમાન ટીમ સામે રમતી વખતે સેકન્ડ ટી-શર્ટનો ઉપયોગ કરવા જણાવાયું હતું અને તે અનુસાર ભારતીય ટીમ કેસરી રંગ સાથેની ટી-શર્ટ આવતીકાલે ઘારણ કરવાની છે.
ટીમ ઇન્ડિયાની નવી ટી શર્ટ અંગે અનેક તર્ક વિતર્ક ચાલ્યા હતા અને કેટલાકે તેને આખી કેસરી રંગની હોવાનુ સુદ્ધા જણાવ્યું હતું અને તેના કારણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી દ્વારા બીસીસીઆઇ પર એવો અરાપો પણ મુકાયો હતો કે તેઓ મોદી સરકારને ખુશ કરવા માટે ટીમ ઇન્ડિયાનું પણ ભગવાકરણ કરી રહ્યા છે. જો કે શુક્રવારે આ ટી શર્ટનો ફર્સ્ટ લુક જાહેર કરાયો તેમાં એવું કંઇ લાગ્યું નહોતું. કેપ્ટન વિરાટ કોહલી, વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો નવી ટી-શર્ટ સાથેનો ફોટો વાયરલ થયો હતો.