દક્ષિણ આફ્રિકા સામેની આગામી 3 ટેસ્ટની સિરીઝ માટેની ભારતીય ટીમમાંથી અપેક્ષા અનુસાર લોકેશ રાહુલને પડતો મુકવામાં આવ્યો છે અને તેના સ્થાને આશાથી વિપરીત પંજાબના આશાસ્પદ ખેલાડી શુભમન ગીલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ ટીમમાં મહત્વનો ફેરફાર એ રહ્યો હતો કે અત્યાર સુધી મિડલ ઓર્ડરના બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ થતાં રહેલા રોહિત શર્માનો આ ટીમમાં ઓપનર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. શુભમન ગીલ ઓપનર અને મિડલ ઓર્ડર બંને સ્થાને ભૂમિકા ભજવવામાં કાબેલ હોવાથી તેનો ઉપયોગ ફ્લોટર તરીકે કરી શકાશે.
પસંદગી સમિતીની બેઠક પછી ટીમની જાહેરાત વખતે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું હતું કે અમે રોહિતને ટોપ ઓર્ડરમાં તક આપવા માગીએ છીએ. તે ઓપનર તરીકે રમવા ઇચ્છુક હોવાની સાથે જ પસંદગી સમિતિ અને ટીમ મેનેજમેન્ટ પણ એવી ઇચ્છા રાખી રહ્યા હતા. શુભમન ગીલ બાબતે તેમણે કહ્યું હતું કે અમે તેને ઓપનર અને મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે જોઇ રહ્યા છીએ. આ બંને જગ્યાના બેકઅપ તરીકે અમે તેને ટીમમાં સામેલ કર્યો છે. જેમ જેમ તે વધુ રમતો રહેશે તેને તકો મળતી રહેશે, કારણકે તે ત્રણેય ફોર્મેટનો ખેલાડી છે એવું પ્રસાદે ઉમેર્યું હતું.
પ્રસાદે એવું કહ્યું હતું કે ભારતીય પરિસ્થિતિને ધ્યાને લેતા જ્યારે અંતિમ ઇલેવનમાં બે જ ઝડપી બોલર સામેલ થઇ શકે તેમ હોય ત્યારે ચાર ઝડપી બોલરને આ ટીમમાં સમાવવા યોગ્ય ન હોવાથી ઉમેશ યાદવની બાદબાકી કરવામાં આવી છે. આ ઉપરાંત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ પરિસ્થિતિને ધ્યાને લેતા આ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. પ્રસાદે કહ્યું હતું કે રાહુલને ઘણી તક આપવામાં આવી છે પણ કમનસીબે તે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરી શક્યો નથી, તેણે કેટલીક મેચોમાં સારું પ્રદર્શન કર્યું હતુ, તેથી અમે તેનું સમર્થન કરતાં હતા, કારણ તે જ્યારે ફોર્મમાં હોય ત્યારે તેની રમત જોવી મજાની રહે છે.
ટેસ્ટ સિરીઝ માટેની ભારતીય ટીમ : વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, અજિંકેય રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, શુભમન ગીલ, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મહંમદ શમી, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા.