માજી કેપ્ટન કપિલ દેવે બુધવારે કહ્યું હતું કે વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ઘણું સારું પ્રદર્શન કરી રહી છે અને વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ પાકિસ્તાન સામે આ ટુર્નામેન્ટમાં પોતાનો સો ટકા જીતવાનો રેકોર્ડ જાળવી રાખવામાં સફળ રહેશે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે ઍકપણ વાર હારી નથી. બંને ટીમો છ વાર વર્લ્ડકપમાં ઍકબીજા સામે રમી છે અને તમામ મેચમાં ભારતીય ટીમ જ જીતી છે.
અેક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કપિલ દેવને જ્યારે ભારત-પાકિસ્તાન મેચ અંગે સવાલ કરાયો ત્યારે તેણે કહ્યું હતું કે ભારત પોતાનું વિજય અભિયાન જાળવી રાખશે તેવી મને આશા છે અને આ ટુર્નામેન્ટમાં 7મીવાર ટીમ ઇન્ડિયા પાકિસ્તાનને હરાવશે. કપિલે કહ્યું હતું કે અમે ઇચ્છીશું કે ટીમ પોતાની કાબેલિયત પર રમે. મને ઍ વાતમાં કોઇ શંકા નથી કે ભારતીય ટીમ આ મેચ જીતી જશે. કપિલે ઍવું ઉમેર્યુ હતું કે ઍક સમયે મારા જમાનામાં પાકિસ્તાનની ટીમ મજબૂત હતી, પણ આજના સમયમાં ભારતીય ટીમ વધુ મજબૂત હોવાની સાથે વધુ સારું રમી રહી છે.
હાર્દિક પંડ્યાને કપિલ દેવે ટીમ માટે સમર્પિત ખેલાડી ગણાવ્યો
હાલના સમયે ભારતીય ટીમના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ગણાતા હાર્દિક પંડ્યાને કપિલ દેવે ટીમ માટે સમર્પિત ખેલાડી ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે હું ઇચ્છીશ કે તેની તુલના કોઇ સાથે ન કરવામાં આવે. માજી વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટને કહ્યું હતું કે હું તો ઇચ્છીશ કે તે મારા કરતાં પણ સારું રમે. તેનામાં ઍટલી કાબેલિયત છે અને જો તે ઓસ્ટ્રેલિયા સામેની મેચની જેમ રમતો રહેશે તો તમારે તેની તુલના મારી સાથે કરવાની જરૂર પણ નહીં પડે. તે બેટિંગ સારી કરે છે પણ તે પોતાની બોલિંગમાં પણ સુધારો કરે ઍવી આશા કપિલે વ્યક્ત કરી હતી.